અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે સરકારનો મોટો ખુલાસો: તપાસ અંતિમ તબક્કામાં
અમદાવાદમાં સર્જાયેલી ભયંકર એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટના, જેમાં ૨૬૦ લોકોના મોત થયા હતા, તે મામલે સરકારે સંસદમાં સત્તાવાર નિવેદન આપ્યું છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ ગંભીર અકસ્માતની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અત્યાર સુધીની તપાસમાં પ્લેનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી હોવાનું જણાયું નથી. જોકે, વિમાનના થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની વિસ્તૃત અને ઊંડાણપૂર્વક તપાસ હજુ પણ અમેરિકાના સિએટલમાં ચાલી રહી છે.
તપાસમાં સમય કેમ લાગી રહ્યો છે?
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે એરક્રાફ્ટ અકસ્માત ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના રિપોર્ટમાં કોઈ વિલંબ થઈ રહ્યો નથી. મોટા વિમાન અકસ્માતોની તપાસ પ્રક્રિયા અત્યંત જટિલ હોય છે અને તેમાં કોઈ નિશ્ચિત સમયમર્યાદા હોતી નથી, કારણ કે દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરવી પડે છે. તપાસ પૂર્ણ થયા બાદ AAIB દ્વારા આ અંગેનો અંતિમ અહેવાલ તેની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું એન્ટી પેપર લીક બિલ: લોકસભા કાલ સુધી સ્થગિત
પાયલટ અંગેની અટકળો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો
અટકળો પર મૌન: આંતરરાષ્ટ્રીય મીડિયામાં પાયલટના વર્તનને લઈને કરવામાં આવી રહેલા દાવાઓ અને અટકળો પર સરકારે હાલ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. સરકારનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ સામે આવશે.
ગોપનીયતા જાળવવાનો આદેશ: આ મામલે સુપ્રીમ કોર્ટે અગાઉ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી નિયમિત તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રેશ સંબંધિત માહિતી ગોપનીય રાખવી જોઈએ. કોર્ટે અવલોકન કર્યું હતું કે અધૂરી માહિતી અથવા ટુકડાઓમાં માહિતી લીક થવાથી પાયલટ કે તેના પરિવારને બિનજરૂરી માનસિક ત્રાસ સહન કરવો પડી શકે છે, જો અંતિમ તપાસમાં પાયલટ નિર્દોષ સાબિત થાય તો. તેથી, તપાસના તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચવા માટે ગુપ્તતા જાળવવી અનિવાર્ય છે.
