ગુનો કર્યો એટલે બે દિ’માં છૂટી જશો એ તો ભૂલી જ જજો: લાં…બા કરી દેશું…!
દારૂ-જુગાર-મારામારીના પાંચથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા ૧૫૦થી વધુ ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચનું છેલ્લું અલ્ટીમેટમ
હવે તો જામીનનું પણ આવી બનશે: ગુનેગારે કાળી કમાણી કરીને વસાવેલી મિલકત, વાહન બધું ગુમાવવું પડશે
રાજ્ય પોલીસવડા દ્વારા ૧૦૦ કલાકની અંદર દરેક શહેર-જિલ્લાના ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ છૂટતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. રાજકોટની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અનેક ગુનેગારોના ગેરકાયદે મકાન તોડવામાં આવ્યા છે તો અનેકના ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ જબદરસ્ત ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે રવિવારે સવારે આઠ વાગ્યાથી જ ૧૫૦થી વધુ ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ બોલાવીને આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે ગુનો કર્યો એટલે બે દિવસમાં છૂટી જશો એ વાત હવે ભૂલી જવાની રહેશે કેમ કે હવે ગુનો કર્યો એટલે લાં…બા થવાની તૈયારી રાખવી જ પડશે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂ, જુગાર, મારામારી સહિતના પાંચથી વધુ ગુના નોંધાયા હોય તેવા મહિલા અને પુરુષ ગુનેગારોને કચેરીમાં એકઠા કરવામાં આવ્યા હતા. આ પછી કચેરીના મેદાનમાં બધાને એકઠા કરી ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ગુનેગારોનો ક્લાસ' પણ લેવામાં આવ્યો હતો. ડીસીપીએ આકરા શબ્દોમાં ગુનેગારોની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે અહીં હાજર તમામ ગુનેગારો પાંચથી વધુ ગુના આચરી ચૂક્યા છે. અગાઉ આ લોકોના મનમાં એવું હતું કે ગુનો કરશું એટલે એકાદ-બે દિવસમાં જામીન ઉપર છૂટી જશું પરંતુ હવે આ વાત ભૂલી જવાની રહેશે કેમ કે હવે એક પણ ગુનો કર્યો એટલે એ ગુનેગારનું આખેઆખી કુંડળી કાઢવામાં આવશે અને તેના આધારે તેના મકાન, વાહન, વીજ કનેક્શન સહિતની ચકાસણી કર્યા બાદ ગેરકાયદે જણાશે એટલે તુરંત જ તેનો ખાત્મો બોલાવી દેવામાં આવશે. વાત આટલેથી જ નહીં અટકે, ગુનેગારના જામીન પડેલા વ્યક્તિ સામે પણ હવે પોલીસ કાર્યવાહી કરશે અને તેની
તપાસ’ પણ કરવામાં આવશે એટલા માટે જામીન ઉપર છૂટી જશું તે વાત ભૂલી જ જજો. આ કાર્યવાહી વખતે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઈ એ.એન.પરમાર, વી.એન.ડોડિયા, એમ.કે.મોવલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
૧૫૦માંથી માંડ ૨૦ લોકોના મકાન-વીજ કનેક્શન કાયદેસર…!
ડીસીપી દ્વારા જ્યારે ગુનેગારોને પૂછવામાં આવ્યું કે તમારામાંથી કેટલા લોકોના મકાન-વીજ કનેક્શન કાયદેસર છે ? આ સવાલનો ૧૫૦માંથી માંડ ૨૦ ગુનેગારે એવો જવાબ આપ્યો હતો કે હા, તેમનું બધું કાયદેસર છે. એટલા માટે હવે હાજર રહેલા ગુનેગારોનું એક `ડોઝીયર’ તૈયાર કરી મકાન-વીજ કનેક્શનની તપાસ કરાશે સાથે સાથે ગુનો કરતાં પકડાશે એટલે ગેરકાયદે મકાન-વીજ કનેક્શનથી હાથ ધોઈ નાખવા પડશે…!