સ્માર્ટ મીટર બદલવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને અપાયો છતાં PGVCLના કર્મચારીઓ પાસે કામ કરાવતા વિરોધ!
રાજકોટમાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરીને લઈને ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને સોંપવામાં આવી હોવા છતાં PGVCLના ટેકનીકલ સ્ટાફ પાસેથી કામગીરી કરાવવામાં આવી રહી હોવાની ફરિયાદો મળતા અખિલ ભારતીય વિધુત કામદાર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગ્રાહકો દ્વારા મીટર બદલવાની ના પાડતા ફિલ્ડ ઓફિસર્સ અને નાયબ ઈજનેરો દ્વારા કોઈ સહયોગ કે પરામર્શ આપવામાં આવતો નથી, જેના કારણે ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે તકરાર વધી રહી છે.

અખિલ ભારતીય વિધુત કામદાર સંઘ દ્વારા રાજકોટ PGVCL ના અધિક ઇજનેરને પત્ર લખીને જણાવ્યું હતું કે, ખાનગી એજન્સીના કર્મચારીઓને સ્માર્ટ મીટર અંગે પૂરતું જ્ઞાન અને કૌશલ્યનો અભાવ હોવાથી ગ્રાહકોને યોગ્ય માહિતી આપવામાં નિષ્ફળતા મળે છે, જેના કારણે સ્માર્ટ મીટર વિશે ગ્રાહકોમાં ખોટી ધારણા ઊભી થઈ રહી છે. આ ઉપરાંત, મીટર બદલવાની પ્રક્રિયામાં વિલંબ અને બિલિંગમાં મોડું થવાથી ગ્રાહકોમાં અસંતોષ વધ્યો છે, જેના કારણે ટેકનીકલ સ્ટાફ સાથે વિવાદની સ્થિતિ ઊભી થઈ રહી છે.
આ પણ વાંચો : સુમસામ રસ્તા અને છેવાડાના વિસ્તારોમાં હવે SHE ટીમ ડ્રોનથી રાખશે બાજ નજર : દરેક શહેરમાં મહિલા ડ્રોન સર્વેલન્સ યુનિટ કરાશે શરૂ

કામદાર સંઘે માંગણી કરી છે કે સ્માર્ટ મીટર બદલવાની કામગીરી પહેલાં ગ્રાહકોને સંપૂર્ણ જાણકારી અપાઈ તેમની સહમતી લઈને જ ટેકનીકલ સ્ટાફને મોકલવો જોઈએ. આ ઉપરાંત, ફિલ્ડ ઓફિસર્સે ગ્રાહકોના વિરોધની સ્થિતિમાં સહયોગ આપવો જોઈએ, જેથી કર્મચારીઓનું મનોબળ જળવાઈ રહે. ટેકનીકલ કર્મચારીઓને પૂરતાં સલામતી સાધનો પૂરાં પાડવા અને જૂનાં કે ખરાબ સાધનો તાત્કાલિક બદલવાની માંગણી કરી છે, જેથી ફેટલ અને નોન-ફેટલ અકસ્માતો અટકાવી શકાય. શિફ્ટની રચના કરતી વખતે GSO-4ના નિયમોનું પાલન કરવું અને ફોલ્ટ નિવારણ માટે ટાવર લેડર ટીમમાં ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓનો સમાવેશ કરવો જોઈએ, જેથી કામગીરી સુરક્ષિત રીતે થઈ શકે. જો આ બાબતોનું તાત્કાલિક નિરાકરણ નહીં થાય, તો ભવિષ્યમાં અકસ્માતો અથવા ગ્રાહકો દ્વારા હુમલા થતા ચોમાસામાં ફરિયાદોનો વધારો અને વીજ પુરવઠામાં વિક્ષેપ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેમજ સ્માર્ટ મીટર બદલવાની કામગીરી PGVCL.ના કર્મચારીઓ પાસે ન કરાવવી જોઈએ, પરંતુ ખાનગી એજન્સીઓને જ આ કામગીરી સોંપવી જોઈએ.