રાજકોટ સિવિલ હોસ્પિટલનું હાર્ટ ફરી ધબકતું કરવા પ્રયાસો તેજ : કાર્ડિયાક વિભાગ UN મહેતા ઇન્સ્ટિટ્યૂટના હવાલે થશે
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગની અદ્યતન સારવાર માટેની કેથલેબ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ હોવા છતા કાર્ડિયાક તબીબના અભાવે છેલ્લા બે મહિનાથી સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગને લગતી સારવાર ઠપ્પ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશાના કિરણ સમાન સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલનો કાર્ડિયાક વિભાગ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને હવાલે કરવા નિર્ણય કર્યો હોવાનું અને બુધવારે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટની ટીમ રાજકોટ સિવિલની મુલાકાત પણ લઇ ગઈ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રનું હાર્ડ ગણાતા રાજકોટમાં વર્ષ 2023માં સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે કેથલેબ શરૂ કરતા જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે હૃદયરોગને લગતી સારવારની સાથે સ્ટેન્ટ બેસાડવા સહિતના ઓપરેશન પણ થતા હતા. જો કે, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલને ગ્રહણ લાગતા નવી ગાઇડલાઇન મુજબ સિવિલ હોસ્પિટલમાં કાયમી કાર્ડિયોલિજીસ્ટના અભાવને કારણે કોઈ વિઝિટિંગ તબીબો સેવા આપવા આવતા ન હોવાથી છેલ્લા બે મહિનાથી અહીં કેથલેબ હોવા છતાં હ્રદયરોગના દર્દીઓની સારવાર ઠપ્પ થઇ જવા પામી છે.
બીજી તરફ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય કાર્ડિયોલોજીસ્ટના અભાવે દર્દીઓને કાંતો અમદાવાદ અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડતું હોય રાજકોટ સિવિલ સત્તાવાળાઓ દ્વારા સિવિલમાં કાયમી કાર્ડિયોલોજિસ્ટની નિમણુંક થાય અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલની તર્જ ઉપર યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ થાય તે માટે પ્રયાસ શરૂ કરી આરોગ્ય વિભાગમાં દોડાદોડી શરૂ કરતા જ સારા પરિણામ આવ્યા છે.

વધુમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેલેબ સહિતની સુવિધા ઉપલબ્ધ હોવાથી વિશ્વ પ્રસિદ્ધ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હકારાત્મક પ્રતિભાવ સાથે રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગનું સંચાલન કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી હતી અને ગઈકાલે બુધવારે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટના તબીબોની ટીમ રાજકોટ સિવિલની મુલાકાતે આવી હતી. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટની ટીમે અહીં પીએમએસએસવાય બિલ્ડિંગમાં કાર્ડિયાક વિભાગની મુલાકાત લઈ કેથલેબ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ એમઓયુ બાદ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સિવિલ હોસ્પિટલનું સંચાલન સોંપવામાં આવે તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે.

હાર્ટના જટિલ કેસ માટે દર્દીઓને અમદાવાદના ધક્કા બચશે
હૃદયરોગની સારવાર માટે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગુજરાત જ નહીં બલ્કે દેશ-વિદેશમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને ખાસ કરીને બાળકોમાં જન્મજાત હ્નદયની ખામી, હૃદયમાં કાણું હોવા જેવા જટિલ કેસોમાં સફળતાપૂર્વક સર્જરી કરી અનેક દર્દીઓને નવજીવન આપ્યાના કિસ્સાઓ વચ્ચે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ રાજકોટમાં જ કાર્યરત બનતા એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ સહિતના હૃદયરોગના સારવારના કિસ્સામાં દર્દીઓને અમદાવાદ સુધીના ધક્કા નહીં ખાવા પડે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં જ અદ્યતન સારવાર ઉપલબ્ધ થવાથી રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલને પણ ફટકો પડવાના સંકેતો મળી રહ્યા છે.