દિવ્યાંગ બાળકોને RTE હેઠળ 10 વર્ષ સુધી પહેલા ધોરણમાં મળશે પ્રવેશ : સરકારે આપી છૂટછાટ
દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે RTE એટલે કે રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ 4 ઓગસ્ટ, 2009ના રોજ લાવવામાં આવ્યો હતો. જે 6થી 14 વર્ષની વયજૂથનાં બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. RTEમાં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર 6 વર્ષ હોવી ફરજિયાત છે ત્યારે દિવ્યાંગ બાળકોની વયમર્યાદાને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગ બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ માટે 4 વર્ષની છૂટ આપવામાં આવી છે એટલે કે હવે દિવ્યાંગ બાળકો 10 વર્ષ સુધી ધોરણ 1માં પ્રવેશ લઈ શકશે.

RTE હેઠળ ધો.1 માં ફરજિયાત 6 વર્ષે જ પ્રવેશનો નિયમ દિવ્યાંગ બાળકોને લાગુ નહીં પડે. સરકારે આ બાબતે છૂટ આપી છે. દિવ્યાંગ બાળકો જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા છે તેઓ પણ ઈચ્છે છે કે પોતાનું બાળક ભણી-ગણીને આગળ વધે તે માટે તેઓ RTEમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય છે પરંતુ બાળક 6 વર્ષનું હોય ત્યારે પહેલા ધોરણમાં અભ્યાસ કરવા માટે અસમર્થ હોય છે ત્યારે આવા અનેક વાલીઓની રજૂઆત બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટનો પ્રીત કામાણીએ કાન ફિલ્મ ફેસ્ટીવલમાં કર્યું ડેબ્યૂ : ચોકલેટી બોયની આ શોર્ટ ફિલ્મની થઈ પસંદગી, જુઓ તસવીરો
6 વર્ષથી મોટા દિવ્યાંગ બાળકોને છૂટ આપવામાં આવશે
કોઇ દિવ્યાંગ બાળકને કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય અને વાલી તે બાળકને 7 વર્ષે 8 વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ લેવા ઇચ્છે તો પણ લઈ શકતા ન હતા. કારણ કે, પ્રવેશ માટેના નિયમો અને ઓનલાઇન સિસ્ટમને કારણે વિદ્યાર્થીએ તેની વયમર્યાદ પ્રમાણે ફરજિયાત જે તે વર્ષમાં જ પ્રવેશ લેવો પડે છે. કેટલાક વાલીઓએ આ મુદ્દે ઉચ્ચસ્તરે રજૂઆતો પણ કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિણર્ય લેવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરીને માત્ર દિવ્યાંગ બાળકો માટે પ્રવેશની વયમર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કરાયો છે. હવે પછી 1લી જૂનના રોજ દિવ્યાંગ બાળકની ઉંમર 6થી 10 વર્ષ સુધીની હોય તો પણ તેને પહેલા ધોરણમાં પ્રવેશ આપી શકાશે. જોકે, અન્ય બાળકો માટે 1લી જૂનના રોજ 6 વર્ષની વયમર્યાદા યથાવત રહેશે.