અમદાવાદથી થાઇલેન્ડ, સાઉદી અરબ અને મલેશિયા જવા માટે ૩૧મીથી ડાયરેક્ટ ફ્લાઈટ
DGCAનું ઉનાળુ ટાઈમટેબલ પ્રવાસીઓ માટે લાભદાયી : ગોવા, નાંદેડ અને બેંગલુરૂની નવી ફ્લાઈટ પણ શરુ થશે : ઈન્ડીગો અમદાવાદથી રાજકોટની ફ્લાઈટ શરુ કરે તેવી સંભાવના
ઉનાળામાં દેશ-વિદેશમાં ફરવા જવાનું આયોજન કરનારા માટે સારા સામાચાર આવ્યા છે. ડી.જી. સી.એ.એ ૩૧માર્ચથી ૨૬મી ઓક્ટોબર સુધીનું ઉનાળુ ટાઈમટેબલ જાહેર કર્યું છે અને તેમાં અમદાવાદથી ત્રણ નવી ઇન્ટરનેશનલ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ૩૧ માર્ચથી અમદાવાદથી થાઇલેન્ડ, સાઉદી અરબ અને મલેશિયા ડાયરેક્ટ જઈ શકાશે. આ ઉપરાંત અમદાવાદથી ડોમેસ્ટિક ત્રણ નવી ફ્લાઈટ મહારાષ્ટ્રના નાંદેડ, ગોવા અને બેંગલુરૂ માટે શરુ થવા જઈ રહી છે. સુત્રોએ એમ પણ કહ્યું છે કે, ઈન્ડીગો અમદાવાદથી રાજકોટ માટે પણ ફ્લાઈટ શરુ કરવા જઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ ફરવા જવા ઈચ્છતા પ્રવાસીઓ હવે અમદાવાદથી સીધા બેંગકોક, ક્વાલાલમ્પુર અને જેદ્દાહ જઈ શકશે. હાલમાં અમદાવાદથી સિંગાપુર, દુબઈ, શારજાહ, અબુધાબી, કુવૈત, મસ્કત, ગેટવિક-લંડન, દોહા-કતાર, હો ચી મિંહ સિટી- વિયેતનામ માટે ફ્લાઈટ ઉપલબ્ધ છે. બેંગકોક માટે થાઈ એર ફ્રિકવન્સી વધારવા જઈ રહીછે અને હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ ડાયરેક્ટ બેંગકોક માટે ફ્લાઈટ શરુ કરશે. આ જ રીતે એર એશિયા ક્વાલાલમ્પુર માટે અને અક્સા એર જેદાહ માટે નવી ફ્લાઈટ શરુ કરશે.
આ નવી ફ્લાઈટ અને ફ્રિકવન્સી વધવાથી અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રવાસીઓની અવરજવર પણ વધી જશે. એપ્રિલ-૨૦૨૩થી ફેબ્રુઆરી-૨૦૨૪ના સમયગાળામાં સરેરાશ રોજના ૩૧, ૮૩૭ મુસાફરોની અવરજવર રહી છે જેમાં ૨૬,૪૨૬ ડોમેસ્ટિક પ્રવાસી અને ૫૪૧૧ આંતરરાષ્ટ્રીય પ્રવાસી સામેલ હતા.