ડામાકાંડ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ આવે એ પૂર્વે તબીબી સ્ટાફે દર્દીને રવાના કરી દીધો !
રાજકોટની સિવિલ હોસ્પિટલ આમ તો કહેવાય છે કે સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓ માટે આશાનું કિરણ છે પરંતુ નામ બડે દર્શન ખોટે જેવા કેટલાક કાંડો ચાલતા હોય તેમ ડામાકાંડ પણ થતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દવા પીને આવેલા યુવકને હજુ તો પોલીસ આવે, કંઈ તપાસ કરે એ પૂર્વે જ સિવિલમાંથી રજા અપાઈ ગઈ. ડામા કરી દેવાયો. યુવકના મિત્ર કે જે ગુજરાતી જાણતો નથી તેની કાગળ પર સહી લઈ લેવાયાના આક્ષેપ આપઘાતનો પ્રયાસ કરનારના ભાઈએ તબીબો કે જવાબદારો સામે કર્યો છે.
શહેરના ગુંદાવાડી મેઈન રોડ પર રામજી મંદિર પાસે રહેતા કૌશલ રાજેશભાઈ નિમાવત (ઉ.વ.20) નામના યુવકે આજે ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં બપોરે દોઢેક વાગ્યાના અરસામાં મેડિસીન વિભાગ વોર્ડ નં.10 માં દાખલ કરાયો હતો. ચારેક વાગ્યા બાદ યુવકને રજા ન્હોતી લેવી છતાં કે પોલીસ આવે કોઈ પૂછતાછ કરે, કારણ જાણે એ પૂર્વે જ ડામા (ડિસ્ચાર્જ અગેઈન્સ મેડિકલ એડવાઈઝ) કરીને યુવકને રવાના કરી દેવા આવા કાગળમાં હાથે જ યુવકના નેપાળી મિત્ર કે જે ગુજરાતી જાણતો નથી તેની સહી લઈને હાથમાં કાગળ પકડાવી દેવાયો હતો.
ઈન્ડોર પેશન્ટ કૌશલે રજા લેવાની ના કહી, તેના ભાઈએ પણ કહ્યું કે હજુ પોલીસ આવી નથી, કોઈ કાર્યવાહી થઈ નથી એ પૂર્વે રજા નથી જોઈતી. તબિયત પણ બરોબર નથી. આમ છતાં રજા આપી દેવાઈ હોવાના આક્ષેપ સારવારગ્રસ્ત યુવકના ભાઈએ કર્યા હતા. જે રીતે યુવકે રજા લેવાની ના કહી દાખલ થયાને બે-ત્રણ કલાક થયા છતાં જે આક્ષેપ કર્યા છે તે સત્ય હોય તો ડોક્ટર રજા આપવાની એવી શું ઉતાવળ હતી ? કોઈનું દબાણ હતું કે પછી સાચવવા ન પડે, સારવાર ન આપવી પડે માટે શ્રમિક યુવકને ઉતાવળ કરીને રવાના કરી દેવાયો ? ખરેખર જો યુવકને આવી રીતે રજા આપી દેવાઈ હોય તો તબીબી બેદરકારી કહેવાય. યુવકે કરેલા આક્ષેપોમાં તથ્ય શું છે તે પણ તપાસનો વિષય બની રહે.
સિવિલમાં દર્દીઓ વારંવાર ડામા થઇ જતાં કિસ્સાઓમાં પોલીસને પણ પરેશાની
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ (ઈન્ડોર પેશન્ટ) વારંવાર ડામા એટલે કે તબીબોની રજા વિના કે જાણ કર્યા વિના અથવા સારવારની જરૂરિયાત હોય છતાં પોતાની જવાબદારીએ ચાલ્યા જતાં હોવાની કે આવા ડામાના કાગળો પર સહીઓ કરી દેતા હોવાનું બને છે. જે રીતે ડામા થાય છે કે કરી દેવામાં આવે છે એ ખરેખર સિવિલ હોસ્પિટલમાં સારવાર ન કરવી પડે તે માટે આવું દર્દીની તબિયત સાથે ખિલવાડ કે જોખમરૂપ કૃત્ય કરાતું હશે ? દર્દી ડામા થાય તેમાં પોલીસને પણ મુશ્કેલી કે પરેશાની ઉભી થાય છે. જ્યારે દર્દી આપઘાત પ્રયાસ, અકસ્માત, મારામારી કે આવા કોઈ સંદર્ભમાં પોલીસ કાર્યવાહી જેવા કેસમાં દાખલ થાય એટલે સંબંધિત પોલીસ મથકને જાણ કરવામાં આવે છે. એ પોલીસ મથકના અધિકારી (જેવો બનાવ એ મુજબ) કે સ્ટાફ તપાસ માટે હોસ્પિટલે પહોંચે છે અને દાખલ દર્દીની પૂછતાછ સાથે કાર્યવાહી કરતાં હોય છે. ડામા થઈ જવાના કિસ્સાઓ કે કાંડમાં પોલીસને પણ ઘણી વખત હોસ્પિટલે આવે એટલે દર્દી જ ન હોય માટે ખરેખર શું હતું તે સત્ય જાણવા મળતું નથી અને મુશ્કેલી ઉભી થતી હોય છે. ક્યારેક તો ચાલ્યા ગયેલા દર્દીને જો કોઈ એવા કારણ હોય તો શોધવા માટે પોલીસને દોડધામ થઈ પડે છે.