પ્રધાનમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ: મહાત્મા મંદિરમાં 17 ઓક્ટોબરે યોજાશે શપથવિધિ સમારોહ, જાણો કોણ પડતું મુકાઇ શકે-કોની થઈ શકે એન્ટ્રી?
એક સપ્તાહ અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી થયા બાદ હવે ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ચૂક્યું છે. મંત્રીમંડળના વિસ્તરણની તારીખ 17 ઑક્ટોબર એટલે કે ધનતેરસ નક્કી કરવામાં આવી છે અને નવા મંત્રીમંડળમાં સામેલ થનારા દરેક મંત્રી 17 ઑક્ટોબરને શનિવારે બપોરે 12ઃ39 વાગ્યાના વિજયમુહૂર્તમાં મહાત્મા મંદિરમાં શપથ લેશે તેમજ મંત્રીમંડળની સંખ્યા 23 થશે.
જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે બે દિવસ દરમિયાન એક બાદ એક બેઠક કરીને ગુજરાત પરત ફર્યા તે ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો હરિયાણાનો પ્રવાસ ટૂંકાને તાત્કાલિક ગુજરાત આવવા માટે રવાના થવું દિવાળી પહેલાં મંત્રીમંડળમાં ફેરફાર થવાનો સંકેત હોય તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.
આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા વિરાટ કોહલી પહોંચ્યો ગુરુગ્રામ : મોટાભાઈ સાથે પ્રોપર્ટી સબંધિત કરી આ ચર્ચા
આમ તો પ્રદેશ પ્રમુખ માટે ભાજપે ઘણી મથામણ કર્યા બાદ આખરે જગદીશ વિશ્વકર્મા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જો કે તેમણે જેવો ચાર્જ સંભાળ્યો કે તુરંત જ વાતો વહેતી થઈ જવા પામી હતી કે પ્રમુખની પસંદગીમાં જેટલો સમય લાગ્યો એટલો સમય મંત્રીમંડળમાં ફેરફાર તેમજ વિસ્તરણને લાગશે નહીં. આ ચર્ચા સાચી ઠરતી હોય તે પ્રકારે ગાંધીનગર ખાતે જોવા મળી રહેલા ઘટનાક્રમ પરથી લાગી રહ્યું છે.
આ પણ વાંચો :હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ માન્ય રહેશે નહીં! સરકારે લીધો મોટો નિર્ણય,આ 2 જ વસ્તુઓ રેશનકાર્ડથી મળશે
અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ટીમમાં તેમના ઉપરાંત આઠ કેબિનેટ કક્ષાના અને આઠ રાજ્યકક્ષાના મળી કુલ 17 મંત્રીઓ છે. જો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તેમજ 2027ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં `ઉભાર’ જોઈને મંત્રીઓની સંખ્યા 23 હોવાનું સૌ કોઈ કહી રહ્યા છે પરંતુ ભાજપ જ્યાં સુધી જાહેર ન કરે ત્યાં સુધી ચર્ચાને માત્ર ચર્ચા જ રહેવા દેવી જોઈએ તેવું પણ એક વર્ગ માની રહ્યો છે કેમ કે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ગુજરાતના રાજકારણના દરેક પાસાની ચકાસણી કર્યા બાદ જ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીઓની યાદી ઉપર મંજૂરીની મ્હોર લગાવી હોવાથી હવે આ મુદ્દે સત્તાવાર જાહેરાતની રાહ જ જોવી રહી…
ખાસ કરીને સૌરાષ્ટ્રનું `વજન’ દિવસેને દિવસે ગાંધીનગરમાં ઘટી રહેવા ઉપરાંત સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ઝંઝાવાતી પ્રચાર તેમજ સભાઓ અને તેમાં ઉમટી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રને મંત્રીમંડળમાં વધુ પ્રાધાન્ય અપાઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો પ્રભાવ પણ નવા મંત્રીમંડળમાં જોવા મળશે તેવી શક્યતા રાજકીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આજે કેબિનેટની બેઠકમાં જ `આઉટ’ થનારા મંત્રીઓના રાજીનામા લેવાઈ શકે
ગાંધીનગરના રાજકીય ગલિયારાઓમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બુધવારે મળતી કેબિનેટની બેઠકને એક દિવસ મોડેથી મતલબ કે ગુરૂવારે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પણ મંત્રીમંડળમાં ફેરફારનો એક મહત્ત્વનો દિશા-નિર્દેશ ગણી શકાય. રાજ્યપાલ આજે ગુરૂવારે ગુજરાત આવી પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી કરવા માટે જ કેબિનેટની બેઠક ગુરૂવારે બોલાવવામાં આવી હોઈ શકે છે. સંભવતઃ મંત્રીમંડળમાંથી `આઉટ’ થનારા મંત્રીઓના રાજીનામા આ બેઠક પૂર્ણ થયા બાદ લેવામાં આવી શકે છે.
રાજકોટમાંથી કોને તક મળશે ?
હાલ ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત છે. ભાનુબેન રાજકોટ-71ની બેઠક પરથી ચૂંટાયા છે પરંતુ દસમાંથી આઠ લોકો એવું કહી રહ્યા છે કે નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળે તેવું લાગી રહ્યું નથી ત્યારે ભાનુબેનને પડતા મુકાય તો રાજકોટમાંથી તેમના સ્થાને કોને તક મળે ? જો કે એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખી ભાનુબેનના સ્થાને રાજકોટમાંથી નહીં બલ્કે અન્ય કોઈ જિલ્લામાંથી પસંદગી થઈ શકે છે. જો આમ ન બને તો પછી ઉદય કાનગડ અથવા ડૉ.દર્શિતા શાહ મંત્રી બને તેવી શક્યતા નકારી શકાતી નથી.
હાલનું મંત્રીમંડળ
કેબિનેટ મંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી), કનુભાઈ દેસાઈ (નાણામંત્રી), ઋષિકેશભાઈ પટેલ (આરોગ્ય મંત્રી), રાઘવજીભાઈ પટેલ (કૃષિ મંત્રી), બલવંતસિંહ રાજપુત (ઉદ્યોગમંત્રી), કુંવરજીભાઈ બાવળિયા (પાણી પૂરવઠા મંત્રી), મુળુભાઈ બેરા (પ્રવાસન મંત્રી), ડૉ.કુબેરભાઈ ડિંડોર (આદિજાતિ વિકાસ મંત્રી), ભાનુબેન બાબરિયા (મહિલા અને બાળ વિકાસ મંત્રી)
રાજ્યકક્ષાના મંત્રી
હર્ષ સંઘવી (ગૃહ-રમત-ગમત મંત્રી), જગદીશભાઈ વિશ્વકર્મા (લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રી)-હાલના પ્રદેશ પ્રમુખ, પરસોત્તમભાઈ સોલંકી (મત્સ્યોદ્યોગ મંત્રી), બચુભાઈ ખાબડ (પંચાયત મંત્રી), મુકેશ પટેલ (વન અને પર્યાવરણ), પ્રફુલ પાનસેરિયા (શિક્ષણ મંત્રી), ભીખુસિંહ પરમાર (ખાદ્યાન્ન મંત્રી), કુંવરજીભાઈ હળપતિ (આદિજાતિ વિકાસ)
કોણ પડતું મુકાઈ શકે-કયા કારણથી ?
- બચુ ખાબડઃ પુત્રોના કૌભાંડમાં નામ ખુલવા ઉપરાંત મંત્રી તરીકે નિષ્ક્રિયતા
- રાઘવજી પટેલઃ નાદૂરસ્ત તબિયત
- પરસોત્તમ સોલંકીઃ નાદૂરસ્ત તબિયત
- જગદીશ વિશ્વકર્માઃ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી પામ્યા હોવાથી
- ભાનુબેન બાબરિયાઃ મંત્રી તરીકે નિષ્ક્રિયતા ઉપરાંત અન્ય મહિલા ધારાસભ્યને પ્રાધાન્યતા આપવા
- કુંવરજી બાવળિયાઃ અન્ય કોળી ચહેરાને પ્રાધાન્ય આપવા
કોની એન્ટ્રી થઈ શકે ?
જયેશ રાદડિયા, ઉદય કાનગડ, અમિત ઠાકર, અમિત શાહ (એલિસબ્રિજથી ધારાસભ્ય), મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, રિવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, અનિરુદ્ધ દવે (માંડવી-કચ્છના ધારાસભ્ય), સંગીતા પાટીલ, અલ્પેશ ઠાકોર, સી.જે.ચાવડા
