રાજકોટમાં લોકમેળા પૂર્વે જ વિવાદના એંધાણ : ગુજરાત એમ્યુઝમેન્ટ એસો.ને ફરી નિયમો હળવા કરવા માંગ ઉઠાવી
રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમી લોકમેળો યોજવાની જાહેરાત સાથે લોકમેળા સમિતિ દ્વારા તા.9 જુનથી ફોર્મ વિતરણ શરૂ કરવાનું જાહેર કરતા જ યાંત્રિક રાઇડ્સ સંચાલકો મેદાને આવ્યા છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનના નેજા હેઠળ માર્ચ માસમાં મુખ્યમંત્રીને આવેદન પાઠવાનાર રાઇડ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે, જો આ વર્ષે પણ લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ માટે નિયમો હળવા નહિ કરવામાં આવે તો લોકમેળાનો વિરોધ કરવામાં આવશે.સાથે જ રાઇડ્સ નહિ હોય તો મેળામાં રમકડાં સહિતના સ્ટોલ પણ શરૂ નહીં થાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

લોકમેળાના આયોજનમાં SOPનું પાલન કરવું અશક્ય
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકમેળામા યાંત્રિક કેટેગરીમાં SOPના પાલન માટે પૂરતો સમય મળી રહે તે માટે આ વર્ષે 2 મહિના કરતા વધુ સમય પહેલા જ ફોર્મ વિતરણ કરી સ્ટોલ એન્ડ પ્લોટ ફાળવણી માટે જૂન માસના અંત પહેલા પ્લોટની ફાળવણી કરવામાં આવશે જેથી રાઇડ્સ સંચાલકોને સમયના અભાવનો મુદ્દો નહિ રહે. બીજી તરફ આ મુદ્દે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનના દસરથસિહ વાળાએ જણાવ્યું હતું કે, ટૂંકી મુદતના લોકમેળાના આયોજનમાં SOPનું પાલન કરવું અશક્ય છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી SOP હળવી કરવા રજુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જન્માષ્ટમીના લોકમેળાના રાઈડ્સ સંચાલકો અને ખાનગી મેળાના માલિકો દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ રાઇડ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે SOPનું કડક પાલન કરવું તેમના માટે મુશ્કેલ છે, જ છે, જેના કારણે મેળાની રંગત ઝાંખી પડી શકે છે.

સ્થાનિક સંચાલકોએ રાહતની માગણી કરી
આ વિવાદને લઈને સ્થાનિક સંચાલકોએ રાહતની માગણી કરી છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન કૃષ્ણસિહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકમેળામાં કે પાયગી મેળામાં રાઇડ્સ માટે ફાઉન્ડેશન કરવું અશક્ય છે. કોઈ ખાનગી જમીનમાં કે સરકારી જમીનમાં સિમેન્ટના ફાઉન્ડેશન ન કરવા દયે, સાથે જ રાઇડ્સ ચલાવનારનું અનુભવનું પ્રમાણપત્ર અંગે જણાવ્યું હતું કે,દેશ કે રાજ્યમાં ક્યાંય પણ રાઈડ્સ ચલાવવાના કોર્પ નથી થતા કે જ્યાંથી આવા પ્રમાણપત્ર મળે, આ ઉપરાંત સીએ સર્ટિફિકેટ, રાઈડ્સના થિડી નકશા, રાઈડના જીએસટી વાળા બિલ સહિતના નિયમોનું પાલન શક્ય ન હોય વિકલ્પે રાઇડ્સ સંચાલકના બાંહેધરી પત્રક અને સોગંદનામું લેવા તંત્રને વિનંતી કરી હતી.
આ પણ વાંચો : ડીજે સામે ડીએમ ! રાજકોટમાં 15 પાર્ટી પ્લોટમાં ધ્વનિ પ્રદુષણ મામલે તપાસ, 3 પાર્ટીપ્લોટ વિરુદ્ધ ગુન્હો દાખલ
રાઇડ્સ વગર લોકમેળાની રંગત ઝાંખી પડશે !
જો કે, રાઇડ્સ વગર લોકમેળાની રંગત ઝાંખી પડશે તેમ ઉમેરી રાઇડ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે, જો રાઇડ્સ બાબતે નિયમો હળવા નહિ કરવામાં આવે તો એકપણ રાઈડ્સ સંચાલક મેળામાં પ્લોટની હરરાજીમાં સહભાગી નહિ બને સાથે જ મેળાનું મુખ્ય મુખ્ય આકર્ષણ રાઇડ્સ જ હોય રમકડાં સહિતના અન્ય ધંધાર્થી ઓ પણ સ્ટોલ, પ્લોટ માટે આગળ નહિ આવે તેમ જણાવી લોકમેળાની SOPનો વિરોધ કરી મેળો શરૂ થાય તે પૂર્વે જ વિવાદનો મધપૂડો છંછેડી તંત્રને બાનમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે.