રાજકોટના રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિ.મીનો રસ્તો ફોર લેન બનાવવાનું શરૂ: રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવાયો
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ એક બાદ એક વિકાસકામ શરૂ કરવામાં આવી રહ્યા છે તે સિલસિલામાં સ્માર્ટ સિટીને જોડતાં રસ્તાઓ અને તેમાં પણ ખાસ કરીને રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો રસ્તો સિંગલ પટ્ટીમાંથી ફોર-લેન બનાવવાની તાતી જરૂરિયાત હોય તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ધમાનનગર તેમજ બીજા રિંગરોડનું કામ ચાલી રહ્યું હોય તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ સાથે જ રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિલોમીટર લાંબો અને 45 મીટર પહોળો (135 ફૂટ) કરવાનું કામ શરૂ કરાયું હોય 12 મહિના બાદ આ રસ્તો ફોર-લેન બની જશે. તંત્ર દ્વારા આ માટે 17 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત મહાપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોનમાં બીજા 150 ફૂટ રિંગરોડ તેમજ જામનગર રોડ જંક્શન ઉપર ભવ્ય એન્ટ્રી વોલ સાથે બ્યુટિફિકેશનની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. જામનગર રોડ અને બીજા 150 ફૂટ રિંગરોડના જંક્શન એટલે કે રાજકોટ શહેરના એન્ટ્રી પોઈન્ટનું બ્યુટીફિકેશન કરવા માટે 3.71 કરોડના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ અંતર્ગત રસ્તાના કોર્નર પર બન્ને તરફ 113 રનિંગ મીટર લંબાઈની દિવાલ બનાવવામાં આવશે. આ એન્ટ્રી પોઈન્ટ ખાતે એક સર્કલ પણ બનાવવામાં આવનાર હોવાનું ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું.
