આજે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરને ‘સમજાવશે’ CM ભૂપેન્દ્ર પટેલ : રાજકોટના 557 કરોડના વિકાસકાર્યનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અહીં મહાપાલિકાના 56.42 કરોડના કામ સહિત શહેર-જિલ્લાના કુલ 557 કરોડ રૂપિયાના વિકાસકાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી એક કલાક સુધી શહેરના અઢારેય વોર્ડના ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સાથે ‘બેઠક’ કરીને તેમને વિકાસ કરવા માટેની ‘સમજણ’ પણ આપનાર છે.

શહેરમાં અત્યારે ભાજપના 66, કોંગ્રેસના 4 અને ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા બે કોર્પોરેટર કાર્યરત છે. આ તમામ કોર્પોરેટરો સાથે 30-30 મિનિટ સુધી ચર્ચા કરશે. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે 6 થી 6.30 સુધી વોર્ડ નં.1 થી 9 અને 6.30 થી 7 વાગ્યા સુધી વોર્ડ નં.9 થી 18 ના કોર્પોરેટરો સાથે તેઓ બેઠક કરી રાજકોટના વિકાસને આગળ ધપાવવા માટે શું કરી શકાય, ક્યાં અડચણ આવે છે, સરકાર તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો છે કે નહીં તે સહિતના મુદ્દે ચર્ચા કરશે. એકંદરે પદાધિકારીઓ દ્વારા તો મુખ્યમંત્રીની આ બેઠક શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવાઈ રહ્યું છે પરંતુ તાજેતરના અમુક વિવાદોને લઈને અમુક નગરસેવક-નગરસેવિકાના ‘ક્લાસ’ પણ લેવાઈ શકે છે!
આ પણ વાંચો : અમેરિકામાં આ 12 દેશના નાગરિકોને નો-એન્ટ્રી : ટ્રમ્પે પ્રવેશ પ્રતિબંધ જારી કર્યો, અન્ય 7 દેશોના નાગરિક પ્રવેશ પર આંશિક અંકુશ
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આજે રેસકોર્સ ખાતે રૂપિયા 5.90 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ડૉ.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીનું લોકાર્પણ કર્યા બાદ તેની વિસ્તૃત મુલાકાત લેનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફોન આવતાં જ તંત્રવાહકો દ્વારા દોડધામ થઈ પડી હતી. આ સિવાય મહાપાલિકા હસ્તકના 16 વિકાસકાર્યનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે થશે.