સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસનો કહેર : 4 બાળકોના મોતથી હાહાકાર, આરોગ્ય તંત્રમાં દોડધામ
-ખેડબ્રહ્મા અને ભિલોડા તાલુકામાં વાયરસના કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું
ખેડબ્રહ્મા
કોરોના વાયરસ પછી હવે એક નવા વાયરસને કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4 બાળકોના મોતથી હાહાકાર મચી ગયો છે. આ નવા વાયરસને કારણે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. ચાંદીપુરમ નામના વાયરસથી સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા તાલુકાના દીઠલી ગામમાં એક બાળકનું તથા અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કંથારિયા ગામમાં બે બાળકોના મોત થયા છે.એક બાળક સારવાર માટે રાજસ્થાનથી આવ્યું હતું તેનું પણ મોત નીપજ્યું છે. આમ, 4 બાળકોના મોત થયા બાદ સેમ્પલ લઈને પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. આ તરફ આ વાયરસ સંદર્ભે ગાંધીનગરમાં પણ બેઠકોનો ધમધમાટ શરુ થયો છે.
સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં 4 બાળકોના ચાંદીપુરમ નામના વાયરસથી મોત થતાં જિલ્લામાં હડકંપ મચી ગયો છે.
રાજસ્થાનની વધુ સારવાર માટે લવાયેલ 2 બાળકો પૈકી એકનું મોત થયું છે અને એક બાળકની હાલ સારવાર ચાલી રહી છે. ચાંદીપુરમ વાયરસથી અસરગ્રસ્ત આ બાળક હાલ સ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું છે.
આ વાયરસનાં શંકાસ્પદ કેસ અત્યાર સુધીમાં 6 જેટલા નોંધાયા હતા, જેમાંથી 4 ના મોત નિપજ્યા છે. જ્યારે 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. દર્દીઓના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે.
આ વાયરસ ઘાતક હોવાનું જણાતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે.
બોક્સ
વાયરસના લક્ષણો
- મસ્તિષ્કમાં સોજો
- ભારે તાવ
- ઉલટી
- ઝાડા
- માથાનો દુઃખાવો
- અનિંદ્રા
- ચામડી ઉપર ચકામા
- કેટલાક કલાકો માટે કોમા જેવી સ્થિતિ