રાજકોટના જંગલેશ્વરમાં 1489 મકાન પર આવતા સપ્તાહે ફરશે બૂલડોઝર: લોકોને જગ્યા ખાલી કરવા સમજાવાશે છતાં કબજો ન છોડે તો તોડી પડાશે
છેલ્લા ઘણા સમયથી ગાજી રહેલા રાજકોટના જંગલેશ્વર, નાડોદરાનગર સહિતના વિસ્તારોમાં આવેલા 1358 મકાન, દુકાન સહિતના ગેરકાયદે દબાણ તોડી પાડવા માટે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતાં ભાગદોડ મચી ગયા બાદ આખરે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્રણ માસની રાહત (સ્ટે) મળી હતી સાથે સાથે આ સમગ્ર કેસ ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (જીઆરટી) અપીલ લઈને ત્વરિતપણે નિકાલ કરવાની પણ તાકિદ કરાઈ હતી.
આ મુદત માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હવે મહાપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન માટેની તૈયારીઓ કરી લીધી છે અને આવતાં સપ્તાહે ગેરકાયદે દબાણો તોડી પાડવા માટે બૂલડોઝરનો કાફલો ત્રાટકનાર હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે વોર્ડ નં.16ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (એટીપી) અશ્વિન પટેલે જણાવ્યું કે નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે 992 અને ટાઉન પ્લાનિંગ રોડ ઉપર 497 મકાન સહિતના બાંધકામ ઉભા થઈ ગયા છે. આ તમામને ખાલી કરવા માટે દબાણકર્તાને શનિ-રવિ દરમિયાન સમજાવટ કરવામાં આવશે. સમજાવટ છતાં જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો પછી આવતાં સપ્તાહે બૂલડોઝર ફેરવી દેવાશે. સંભવતઃ સોમવારે જ ડિમોલિશન કરવામાં આવી શકે છે.
ડિમોલિશન દરમિયાન કેટલા સાધન-સરંજામ, કેટલો પોલીસ-વિજિલન્સનો બંદોબસ્ત જોઈશે તે સહિતની તૈયારી પૂર્ણ કરવા માટે આજે ગુરૂવારે એક બેઠક મળશે તેમાં ડિમોલિશનની કાર્યવાહીને અંતિમ ઓપ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત દબાણકર્તાઓને મહાપાલિકા દ્વારા ઘણા સમય પહેલાં જ ૨૬૦(૨)ની અંતિમ નોટિસ ફટકારી દેવામાં આવી છે આમ છતાં દબાણ દૂર કરાતાં ન હોય હવે ડિમોલિશનની કાર્યવાહી કરવાનો તખ્તો તૈયાર કરાયો છે.
