બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે : કેન્દ્રનો નિર્ણય
ધોરણ 11-12ના વિદ્યાર્થીઓએ બે ભાષાનો અભ્યાસ કરવો પડશે, પુસ્તકો સસ્તા થશે
બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ ધોરણ 11 અને 12માં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. કેન્દ્રએ બુધવારે નવી શિક્ષણ નીતિ (NEP) ના અનુરૂપ શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠયપુસ્તકો વિકસાવવામાં આવશે.
શિક્ષણ મંત્રાલય દ્વારા નવા અભ્યાસક્રમ માળખાની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા હેઠળ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ક્સ જાળવી રાખવાની છૂટ આપવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા હેઠળ, ધોરણ 11 અને 12માં વિષયોની પસંદગી ‘સ્ટ્રીમ’ સુધી મર્યાદિત રહેશે નહીં. તેના બદલે, વિદ્યાર્થીઓને તેમની પસંદગીનો વિષય પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા મુજબ, શાળા બોર્ડ યોગ્ય સમયે ‘ઓન ડિમાન્ડ’ પરીક્ષાઓ ઓફર કરવાની ક્ષમતા વિકસાવશે.
નવી શિક્ષણ નીતિ (NEP) મુજબ નવા અભ્યાસક્રમની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ હેઠળ, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જેમાંથી ઓછામાં ઓછી એક ભારતીય હોવી જોઈએ.
શિક્ષણ મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા હેઠળ વર્ગોમાં પાઠ્યપુસ્તકોને ‘કવર’ કરવાની વર્તમાન પ્રથાને ટાળવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે પાઠ્ય પુસ્તકોના ભાવમાં ઘટાડો કરવામાં આવશે.
