અરવલ્લી પર્વતમાળા વિવાદ: સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર લગાવી રોક,આ તારીખ સુધી ખાણકામ નહીં કરી શકાય
અરવલ્લી પર્વતમાળાઓની વ્યાખ્યાને લગતા વિવાદ વચ્ચે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું . 20 નવેમ્બરના રોજ, કોર્ટે અરવલ્લી પર્વતમાળાઓ માટે એક સમાન વ્યાખ્યા સ્વીકારી હતી. કોર્ટે હવે તેના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. આ કેસમાં આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પણ પાઠવી છે. ઉચ્ચ નિષ્ણાત સમિતિ બનાવવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે.
20 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાઓ માટે એક સમાન વ્યાખ્યા સ્વીકારી હતી. નિષ્ણાત રિપોર્ટ રજૂ ન થાય ત્યાં સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલા અરવલ્લી વિસ્તારોમાં નવા ખાણકામ લીઝની ફાળવણી અટકાવી દીધી છે.
કોર્ટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની સમિતિની ભલામણો સ્વીકારી. સમિતિ અનુસાર, અરવલ્લી પર્વતમાળાઓને ઓળખાયેલા અરવલ્લી જિલ્લાઓમાં કોઈપણ ભૂમિ સ્વરૂપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે જેની ઊંચાઈ સ્થાનિક સૌથી નીચા બિંદુથી 100 મીટર કે તેથી વધુ હોય. અરવલ્લી પર્વતમાળા એકબીજાથી 500 મીટરની અંદર બે કે તેથી વધુ ટેકરીઓનો સમૂહ હશે.
કોર્ટે વધુમાં શું કહ્યું?
સોમવારે થયેલી સુનાવણીમાં, CJIએ કહ્યું, “અમે સમિતિની ભલામણો અને આ કોર્ટના નિર્દેશોને હાલ પૂરતો સ્થગિત રાખવાનું જરૂરી માનીએ છીએ. સમિતિની રચના ન થાય ત્યાં સુધી આ સ્ટે અમલમાં રહેશે.” સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે 21 જાન્યુઆરી માટે નોટિસ જારી કરવામાં આવે છે.
