વેપારી પર હુમલો કરનાર બે શખસો ન પકડાતાં સરધાર રોષપૂર્ણ બંધ : આખો દિવસ તમામ દુકાનોના શટર ન ખુલ્યા
રાજકોટ શહેરમાં તો લુખ્ખાગીરીએ માજા મુકી જ છે સાથે સાથે હવે ભાગોળે આવેલા વિસ્તારોમાં પણ ટપોરીઓ માથું ઉંચકી રહ્યા હોય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આવી જ એક ઘટના ચાર દિવસ પહેલાં સરધારના રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ટાયરની દુકાને બનવા પામી હતી. અહીં દુકાન ધરાવતાં વેપારીને બે શખસોએ ટાયર બદલાવી આપવા જેવી બાબતે છરી બતાવી હુમલો કરતાં વેપારીઓમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. બીજી બાજુ આટલા દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી ન શકતાં રવિવારે આખું સરધાર રોષપૂર્વક બંધ રહ્યું હતું.

ગત તા.26 જૂને સરધાર ગામે માટેલ ટાયર્સ એન્ડ ઓટો મોબાઈલ નામની દુકાન ધરાવતાં મયુરભાઈ કાનજીભાઈ વસોયા (ઉ.વ.32, રહે.સરધાર)ને ત્યાં સિકંદર સંધિ અને તેની સાથે એક શખસ ધસી આવ્યા હતા. આ બન્નેએ ગાડીના ટાયર બદલવા બાબતે મયુર વસોયા સાથે માથાકૂટ કરી સિકંદરે ગાળો આપી ધમકી આપી હતી તો તેની સાથે રહેલા શખસે મયુરને ત્રણ ફડાકા મારી કારમાંથી છરી કાઢી તેને દોડાવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતના કંડલાથી ઓમાન જતાં જહાજમાં લાગી આગ : ઈન્ડિયન નેવી બની દેવદૂત, 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા સવાર

આ ઘટનાના વિરોધમાં રવિવારે સરધાર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. પોલીસે ચાર દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સિકંદર સંધિ અને તેના સાગરિતને પકડ્યો ન હોય તેના વિરોધમાં દરેક દુકાન રોષપૂર્વક બંધ રહી હતી. બીજી બાજુ આજીડેમ પોલીસ મથકનો પન્નો હજુ સુધી આરોપીઓ સુધી ન પહોંચ્યાનું પણ જાણવા મળ્યું હતું.