રાજકોટથી એર કાર્ગોની ઉડાનને ઝટકો: દરરોજ 2000 ચાંદી મોકલાતી, હવે ઘટીનેમાત્ર 600 કિલો થઇ ફ્રોઝન ફૂડને બ્રેક
ચાંદીના રેકોર્ડબ્રેક ભાવ અને મિડલ ઈસ્ટમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે રાજકોટ એરપોર્ટ પરથી ચાલી રહેલી એર કાર્ગો સેવા પર ગંભીર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઈટોમાં અવરોધ સર્જાતા કાર્ગો ઓપરેશનને મોટો ફટકો લાગ્યો છે.
રાજકોટ એરપોર્ટ પરથી 27 ઓગસ્ટ 2025થી એર કાર્ગો સેવા શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા 7 મહિનામાં અહીંથી હજારો ટન સામાન દેશ-વિદેશમાં મોકલાયો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી આ સેવાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ અગાઉ રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ અંદાજે 2000 કિલો ચાંદી એટલે કે લગભગ 2 ટન એર કાર્ગો મારફતે મોકલાતી હતી. પરંતુ ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા વેપારીઓએ મોકલાવામાં બ્રેક લગાવી દીધી છે. હાલ રોજ માત્ર 600 થી 700 કિલો જેટલી ચાંદી કાર્ગો મારફતે મોકલાઈ રહી છે.
રાજકોટ સોના-ચાંદી અને ઇમિટેશન જવેલરી ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર હોવાથી અહીંથી ડોમેસ્ટિક ફ્લાઈટ દ્વારા દિલ્હી અને મુંબઈ સુધી માલ પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી અન્ય રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મારફતે વિવિધ દેશોમાં નિકાસ થાય છે. પરંતુ કિંમતી ધાતુઓના વધતા ભાવ અને મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઈટોમાં અવરોધને કારણે વેપાર પર સીધી અસર પડી રહી છે.
આ ઉપરાંત રાજકોટમાંથી ફ્રોઝન ફૂડનું પણ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. દરરોજ અંદાજે 22 ટન ફ્રોઝન ફૂડના કન્ટેનર એર કાર્ગો મારફતે મિડલ ઈસ્ટ સહિતના દેશોમાં મોકલવામાં આવતા હતા. પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે ફ્રોઝન ફૂડની કાર્ગો સેવા લગભગ બંધ થઈ ગઈ હોવાનું એર કાર્ગો એજન્સીના સંચાલકોએ જણાવ્યું છે.
ઉપરાંત એર ઈન્ડિયાએ કાર્ગો પર પ્રતિ કિલો રૂપિયા 5નો સરચાર્જ વધારતા વેપારીઓ પર વધારાનો બોજો પડ્યો છે. ફ્લાઈટોની સંખ્યા ઘટતા અને કાર્ગો ઓપરેશનમાં અવરોધને કારણે રાજકોટની એર કાર્ગો કંપનીઓને દરરોજ અંદાજે રૂપિયા 2.50 લાખનું નુકસાન થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.
એર કાર્ગો શરૂ થયા પછી ઝડપથી વધ્યો હતો વેપાર
રાજકોટ એરપોર્ટ પરથી એર કાર્ગો સેવા શરૂ થયા પછી સ્થાનિક ઉદ્યોગોને મોટો ફાયદો થયો હતો. ખાસ કરીને જવેલરી, ઇમિટેશન જવેલરી અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને દેશ-વિદેશમાં માલ મોકલવાની ઝડપી સુવિધા મળતા વેપારમાં વધારો નોંધાયો હતો.
મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઈટ ઘટતાં સપ્લાય ચેઈન ખોરવાઈ
રાજકોટથી મોટાભાગનો માલ પહેલા ડોમેસ્ટિક ફ્લાઈટ દ્વારા દિલ્હી અને મુંબઈ મોકલવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મારફતે મિડલ ઈસ્ટ અને અન્ય દેશોમાં નિકાસ થાય છે. હાલ મિડલ ઈસ્ટ રૂટ પર ફ્લાઈટોમાં ઘટાડાને કારણે આ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. કાર્ગો ઓપરેશનમાં ઘટાડો થતાં એરપોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ સાથે જોડાયેલા વ્યવસાય અને લોજિસ્ટિક્સ કંપનીઓને પણ અસર પહોંચી રહી છે.
