અમદાવાદ વિમાન દુર્ઘટના કાવતરું તો નથી ને? એજન્સીઓએ નવા એંગલથી તપાસ કરી
અમદાવાદમાં 12મી જુને લંડન જઈ રહેલું ડ્રીમલાઈનર વિમાન ગણતરીની ક્ષણોમાં જ તૂટી પડ્યાની ઘટનામાં વિવિધ સ્તરે તપાસ થઇ રહી છે. હજુ સુધી આ વિમાન તૂટી પડવાનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી ત્યારે હવે તપાસ એજન્સીઓએ તપાસનો દાયરો વધાર્યો છે અને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફની પૂછપરછ કરી છે અને તેમના ફોન કબજે કર્યા છે.

આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી એજન્સીએ આ વિમાન તૂટી પડવા પાછળ કોઈ કાવતરું હોવાની શક્યતા નકારી નથી. આ તપાસ એજન્સીઓ સાચુ કારણ બહાર લાવવા માટે દિવસ રાત એક કરી રહી છે.

આ તપાસ એજન્સીઓમાં એરક્રાફ્ટ એકસીડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો, ગુજરાત પોલીસ , એરપોર્ટ ઓથોરિટી અને ડી.જી.સી.એ.સામેલ છે. અમેરિકાના કેટલાક નિષ્ણાતો પણ તપાસ કરી રહ્યા છે.એક સૂત્રના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ હેન્ડલિંગમાં એરપોર્ટનો જેટલો સ્ટાફ હતો તે તમામનાં નિવેદનો નોંધવામાં આવ્યા અને ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.ખાસ કરીને જે સ્ટાફે આ વિમાનને ઉડાન માટે લીલીઝંડી આપી હતી તેમની વિશેષ પૂછપરછ કરવામાં આવી છે.
આ પણ વાંચો : પત્નીની સહમતી વગર લેવામાં આવેલી વોટ્સએપ ચેટ પુરાવા તરીકે માન્ય રહેશે : લગ્ન સબંધિત વિવાદ મામલે MP હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
તપાસ એજન્સીઓએ દુર્ઘટના બની એ પહેલાના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે અને તેના આધારે પણ તપાસ ચાલી રહી છે. આ એજન્સીએ ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઈસ રેકોર્ડરની તપાસ પણ શરુ કરી દીધી છે. આ બંને રેકોર્ડર ખુબ જ મહત્વના છે અને સાચું કારણ જાણવા મળશે તેવી આશા છે. આ રેકોર્ડરમાં કોક્પીટનો અવાજ, પાયલોટ વચ્ચેની વાતચીત અને એન્જીનનો અવાજ વગેરે રેકોર્ડ થયેલુ છે. આ ઉપરાંત વિમાન તૂટી પડ્યું એ પહેલાની સ્પીડ, ઓટો પાયલોટ ઈનપુટ વગેરેની માહિતી પણ મેળવાઈ રહી છે. બોઇંગ 787 પહેલી વાર તૂટ્યું હોવાથી કંપનીના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે.