રાજકોટના જંગલેશ્વર બાદ લક્ષ્મીનગરનો પટ’સાફ’: રેલવેની જગ્યામાં વર્ષોથી ખડકાયેલા 354 ઝુપડા ઉપર 25થી વધુ બૂલડોઝર ફરી વળ્યા
તાજેતરમાં જ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.16ના જંગલેશ્વરમાં 1509 જેટલા ગેરકાયદેસર મકાન ઉપર બૂલડોઝર ફેરી દઈ 87000 ચોરસમીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવ્યા બાદ હવે રેલવે તંત્ર દ્વારા લક્ષ્મીનગરના નાલા પાસે પોતાના હસ્તકની જગ્યા ઉપર ખડકાયેલા ગેરકાયદેસર કાચા-પાકા ઝુપડાઓને સોમવારે વ્હેલી સવારથી જ તોડવાનું શરૂ કરવામાં આવતાં થોડો સમય માટે મામલો તંગ બન્યો હતો. જો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત હોવાથી છુટુંછવાયું ઘર્ષણ સિવાય કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનવા પામી નહોતી અને ડિમોલિશનની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જો કે અનેક પરિવાર દ્વારા રોષભેર ઝુપડાઓ પોતાના જ હાથે સળગાવી દેવામાં આવતાં ફાયરબ્રિગેડના સ્ટાફે સતત દોડતું રહેવું પડ્યું હતું.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે લક્ષ્મીનગરના નાલા પાસે રેલવેનો અંદાજે 10000 વારથી વધુ જગ્યાનો પ્લોટ આવેલો છે જ્યાં 1000થી વધુ લોકો ગેરકાયદેસર રીતે કાચા-પાકા ઝુપડા બાંધીને રહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો :ઉનાળાની શરૂઆત થતાં પાણીકાપ શરૂ: રાજકોટના આ 5 વોર્ડના લોકોને આવતીકાલે નહીં મળે પાણી, 40 દિવસમાં ચોથો પાણીકાપ
શરૂઆતમાં એકાદ-બે ઝુપડા બંધાયા બાદ તંત્ર દ્વારા આ દિશામાં ધ્યાન આપવામાં ન આવતાં દિવસેને દિવસે ઝુપડાની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. જો કે સ્થિતિ એવી નિર્માણ પામી કે ઉપરોક્ત જગ્યામાં ઠેર-ઠેર ઝુપડા બંધાઈ જતાં આખરે રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય લઈ સોમવાર પહેલાં જગ્યા ખાલી દેવાની આખરી ચેતવણી આપી દીધી હોવાથી રવિવારે જ અનેક ઝુપડાધારકો અન્યત્ર ચાલ્યા હતા.

સોમવારે સવારે 7 વાગ્યા આસપાસ રેલવે તંત્ર 25થી વધુ બૂલડોઝર સહિતના કાફલા સાથે સ્થળ પર ત્રાટક્યું હતું અને એક બાદ એક ઝુપડા તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સ્થિતિ ન બગડે તે માટે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ સહિતના અધિકારીઓ ઉપરાંત માલવિયાનગર પોલીસ મથક, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી.

સ્વાભાવિક પણે કોઈનો આશરો છીનવાય એટલે વિરોધ થવાનો જ હોય અનેક લોકોએ વિરોધ પણ કર્યો હતો તો અમુકે પોલીસ તેમજ રેલવેના અધિકારીઓ સાથે માથાકૂટ કરતા તેમની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. બીજી બાજુ અમુક લોકોએ ઝુપડા જાતે જ સળગાવતાં આગ વિકરાળ ન બની જાય તે માટે સવારથી લઈ સાંજ સુધીમાં 5 ફાયર ફાઈટરને પણ દોડાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
