15 વર્ષ બાદ રાજકોટમાં મનપાની ચોથી ઝોનલ કચેરીનો પાયો ખોદાયો : વર્ષ 2027નાં પ્રારંભમાં ખુલ્લી મુકવામાં આવશે
રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં વધારો થવાની સાથે જ ઘણોખરો વિસ્તાર મહાપાલિકામાં ભળી ગયો હોય લોકોને મહાપાલિકા લગત કામ કરાવવા માટે સેન્ટ્રલ, ઈસ્ટ અથવા વેસ્ટ ઝોન કચેરી સુધી લાંબું થવું પડતું હતું. ખાસ કરીને વોર્ડ નં.15,16,17 અને 18માં રહેતાં અઢી લાખથી વધુ લોકોને આ મુદ્દે ખૂબ જ હાલાકી પડી રહી હોય શહેરમાં ચોથી ઝોનલ કચેરી નિર્માણ કરવાનો નિર્ણય લઈ તેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એકંદરે 15 વર્ષ બાદ રાજકોટમાં મહાપાલિકાની ચોથી ઝોનલ કચેરીનો પાયો ખોદાયો હતો.

મહાપાલિકા દ્વારા સાઉથ ઝોન કચેરીનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ 1998માં સેન્ટ્રલ ઝોન, 2006માં વેસ્ટ ઝોન અને 2007માં ઈસ્ટ ઝોન કચેરી કાર્યરત થઈ હતી જ્યારે હવે સાઉથ ઝોનની ચોથી ઝોનલ કચેરીનું કામ શરૂ થઈ જતાં 18 મહિનાની અંદર તે પૂર્ણ થવાના દાવા વચ્ચે 2027થી ચોથી કચેરી પણ કાર્યરત થઈ જશે.
આ પણ વાંચો : રાજકોટ મહાપાલિકાનો ગજબ ‘ખેલ’ : 31 વર્ષ પહેલાં જમીન આપી, હવે કહ્યું, ખાલી કરો !
નવી ઝોનલ કચેરીમાં 105 કાર, 100થી વધુ ટુ-વ્હીલર સહિતની પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત ત્રણ માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે. અહીં આધાર કાર્ડ, રોશની, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટોર રૂમ, કમિશનર ઓફિસ, નાયબ કમિશનર ઓફિસ, સિટી ઈજનેર ઓફિસ, કોન્ફરન્સ રૂમ, લિફ્ટ, સીડી, બાંધકામ, ટેક્સ, એસ્ટેટ, આરોગ્ય, એએનસીડી સહિતના વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ, વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગની ઓફિસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ કચેરી 27.58 કરોડના ખર્ચે 80 ફૂટ મેઈન રોડ પર રાધાકૃષ્ણ સોસાયટીની બાજુમાં નિર્માણ પામશે.