આરોપીની અંધશ્રદ્ધાએ નિર્દોષ લોકોના જીવ લીધા : SMCના PIના માતા-પિતાની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો
સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. ચૌધરી (પટેલ)ના માતા-પિતાની તેમના જ ગામ બનાસકાંઠાના જસરા તાલુકાના લાખાણી ગામે થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી પાડોશી પિતા-પુત્ર સહિત ચારની ધરપકડ કરી છે. પાડોશી શખસ સુરેશે નાણાં કમાવવા, દેવુ ઉતારવા કાળા જાદુના ચક્કરમાં પિતા શામળા રૂપા ચૌધરી તથા મામા ઉમા ચેલાજી ચૌધરીએ મળી હત્યા નિપજાવી હતી. હત્યા બાદ રામપરા (દામા) ગામનાભૂવા દિલીપ મકાજી ઠાકોરે વિધિ કરી હતી. પોલીસે ચારેય શખસોની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો મુજબ ગત તા.16ના રોજ રાત્રી દરમિયાન પીઆઈ એ.વી. પટેલના માતા-પિતા ગામમાં ખેતરમાં જ આવેલા મકાનમાં રહેતા હોય વૃધ્ધ દંપતિ વર્ધાજી મોતીજી પટેલ તથા હોશીબેન વર્ધાજી બન્નેની હત્યા કરાઈ હતી. વૃધ્ધાના કાન કાપી તેમજ પગ કાંડાથી કાપી ઘરેણા લૂંટી લેવાયા હતા. બનાવના પગલે હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાનું માનીને બનાસકાંઠા એ.સી. અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી હતી. 80થી વધુ CCTV ચેક કરાયા હતા. 300 જેટલા મજૂરોની પૂછતાછ કરાઈ હતી. વિવિધ દિશામાં એલસીબી, એસઓજી મળી 9 ટીમો તપાસ ચલાવી રહી હતી.
દરમિયાનમાં માહિતી મળી હતી કે ગ ગામમાં જ વૃધ્ધ દંપતિના પાડોશમાં રહેતા – સુરેશ નામના શખસે કાળા જાદુ તાંત્રિક વિધિના ચક્કરમાં વૃધ્ધ દંપતિની હત્યા કરી ઘરેણા લૂંટી લીધા છે. પોલીસની ટીમે સુરેશને તેના પિતા શામળાને સકંજામાં લઈ પૂછતાછ કરતા ભેદ ઉકેલાયો હતો. બનાવની રાત્રે સુરેશ તેના પિતા શામળા અને મામા ઉમાએ મળીને વૃધ્ધ દંપતિની હત્યા કરી કાન, પગ કાપી નાખ્યા હતા અને ઘરેણા લૂંટી લીધા હતા. હત્યા બાદ ભૂવા દિલીપે વિધિનો ડોળ કર્યો હતો અને ઘરેણાના ભાગ પાડી લીધા હતા. પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. લૂંટાયેલા ઘરેણા કબજે લીધા હતા.
આ પણ વાંચો : લો બોલો! રેસકોર્સનું ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં વર્ષમાં 5 રાષ્ટ્રીય મેચ નથી રમાતી ત્યાં 5 કરોડના ખર્ચે નવું પેવેલિયન બનશે

આરોપીએ હત્યા સમયે અવાજ ન થાય કે કોઈને ખબર ન પડે તે માટે ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું જેથી ટ્રેક્ટરના અવાજથી કદાચ વૃધ્ધ દંપતિ રાડો પાડે તો પણ કોઈને સંભળાય નહીં. હત્યા ગામના પિતા-પુત્રએ મળીને કર્યાના પગલે ગામમાં પણ આરોપી સામે ભારે રોષ ભભૂક્યો હતો.