ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મહાશિવરાત્રી મેળામાં લાખોની મેદની વચ્ચે પોલીસ તંત્રની કિલ્લેબંધી સુરક્ષા વ્યવસ્થા હતી. આ દરમિયાન એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં એક પોલીસ કર્મીએ પોતાની ફરજની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને એક યુવાનનો જીવ બચાવ્યો છે.
સંતોની પરંપરાગત રવેડીના દર્શન માટે ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બપોરના સમયે મંગલમ હોટલ સામે આવેલી પોલીસ રાવટી નંબર-21 પાસે ભીડમાં ઉભેલા એક 30 વર્ષીય યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ ચિક્કાર ભીડને કારણે વાહન ઘટનાસ્થળે પહોંચે તેમ નહોતું. એમ્બ્યુલન્સ પહોંચતા કદાચ એક કલાકથી વધુ સમય લાગે તેમ હતો અને યુવાનની હાલત ક્ષણે-ક્ષણે બગડી રહી હતી.
આ ગંભીર સ્થિતિ જોઈને મેળાના બંદોબસ્તમાં અમરેલી જિલ્લાના બગસરાથી આવેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેદભાઈ મહેતા (રાજગોર બ્રાહ્મણ) તરત જ મદદે આવ્યા હતા. યુવાનની ગંભીર હાલત જોઈ તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યુવાનને પોતાના ખભા પર ઊંચકી લીધો હતો અને ભીડને ચીરીને ભવનાથ પોલીસ સ્ટેશન નજીક આવેલા ઇમરજન્સી સારવાર કેન્દ્ર તરફ દોટ મૂકી હતી.
પોલીસ કર્મીની આ સતર્કતાને કારણે યુવાનને સમયસર ઓક્સિજન અને પ્રાથમિક સારવાર મળી ગઈ હતી, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ યાત્રિકે મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 14-14 કલાકની સખત ફરજ બજાવવા છતાં પોલીસ કર્મીએ દાખવેલી આ તત્પરતા અને માનવતાવાદી કાર્યની ભવનાથમાં આવેલા લાખો શ્રદ્ધાળુઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.
