રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં થોડા વખતથી એવી દયનિય સ્થિતિ (પ્રજા માટે તો ઠીક પોલીસ માટે પણ) બની છે કે અસામાજિક તત્વો પોલીસ પર પણ હુમલા કરતા ખચકાતા નથી. ત્યારે રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરની ભાગોળે ત્રાંબાના વડાળી ગામે મોબાઈલમાં સ્ટેટ્સ મૂકવા બાબતે થયેલા ઝઘડામાં કૌટુંબિક ભાઈએ યુવકને છરી મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ત્રંબા પાસે આવેલા વડાળી ગામની છે જ્યાં ગત રાત્રે 08.30 વાગ્યાની આસપાસ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. મોબાઈલમાં સ્ટેટસ મૂકવા બાબતે 52 વર્ષીય ભરત નાગજીભાઈ મૂછડીયા નામના વ્યક્તિની અજય નામના શખ્સે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આજીડેમ પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
છરીનાં બે ઘા ઝીંકી હત્યા કરી
ભરત નાગજીભાઈ મૂછડીયા નામનો યુવક પોતાના ઘર પાસે હતો, ત્યારે કોઈ કારણોસર કૌટુંબિક ભાઈ અજય મૂછડીયા સાથે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા અજયે છરીનાં બે ઘા ઝીંકી દેતા ભરત લોહીલુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. બનાવને પગલે ભરતનાં પરિવાર સહિત આસપાસનાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. તેમજ ભરતને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.
પોલીસ કાફલો પણ દોડી ગયો
ભરતનું મોત નિપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં આજીડેમ પોલીસ મથકનાં પી.આઈ, ડી સ્ટાફ એલસીબી ઝોન વન સહિતની ટીમો દોડી ગઈ છે. તેમજ એસીપી જાધવ સહિતનો પોલીસ કાફલો પણ દોડી ગયો છે. અને હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગુન્હાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું !!