થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : 50,000 કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાક,કરોડોનું નુકસાન
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને FCIના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી. જેમાં આ આગની ગોઝારી ઘટનામાં 50,000 કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાક થઈ ગઈ છે, જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
થાનગઢ અને ચોટીલાની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતનાં સાધનો વડે ગોડાઉનની દીવાલ અને બે શટર તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ આગની ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં બનાવના સ્થળે દોડી આવ્યાં હતાં. સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતાં દુર્ઘટના ટળી છે.
આ અંગે થાનગઢ મામલતદાર એન.આર.પટેલે જણાવ્યુ હતું કે આ સરકારી ગોડાઉનમાં ટેકાનાં ભાવે ખરીદી કરેલી મગફળીનો જથ્થો હતો. જેમાં આગ લાગતા ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝવવાની કામગીરી યુદ્વના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ સરકારી ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો હતો અને કેટલું નુકસાન છે, એ તો ગોડાઉન મેનેજર આવ્યા પછી જ ખબર પડી શકે.
આગ પર કાબૂ મેળવી લેવાયો છે: નાયબ કલેક્ટર
આ અંગે થાનગઢના નાયબ કલેક્ટર હરેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ વેરહાઉસના ગોડાઉનમાં કે જે ભાડાના મકાનમાં આવેલું છે, જેમાં મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ રાખવામાં આવેલી હતી. એ કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, હાલ આગને કાબુમાં લઇ લેવાઇ ગઇ છે. બીજો કોઈ અન્ય કપાસનો જથ્થો કે અન્ય જણસી પડી છે, એમાં કોઈ નુકસાન થયુ નથી. પરંતુ મગફળીના સ્ટોકમાં કેટલાક કટ્ટા બળી ગયેલા માલુમ પડે છે.