સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાયા, 2 કાર વચ્ચે ટક્કર થયા બાદ લાગી આગ
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરમાં સામા આવે છે જેમાં આઠ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. સુરેન્દ્રનગર લખતર હાઇવે પર આ અકસ્માત થયો હતો જેમાં બે કાર વચ્ચે ટક્કર થયા બાદ કારમાં આગ લાગી હતી ત્યારે અકસ્માતને પગલે એ લોકોના ટોળેટોળા ઊમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર બની હતી જ્યાં આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગરના કોઠારિયા નજીક બે કાર વચ્ચે ધડાકા સાથે ટક્કર થઈ હતી. ભયંકર અકસ્માતના બનાવમાં એક જ પરિવારનાં 7થી વધુ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્યાપી જવા પામી છે ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વઢવાણ-લખતર હાઇવે પર થયેલા અકસ્માતમાં 8 લોકોના કરુણ મોત થયા છે, જે એક જ પરિવારના સગા-સંબંધીઓ હતા. Swift Dzire કારમાં સવાર આ લોકો કડુથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી Tata Harrier કાર સાથે તેમની કાર અથડાઈ. અથડામણ બાદ Dzire કાર રોડની સાઈડમાં ખાબકી અને તરત જ આગની લપેટમાં આવી ગઈ. કારમાં સવાર તમામ 8 લોકો, જેમાં 13 વર્ષની કિશોરી અને 10 માસની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
મૃતકોના નામ
મીનાબા વિરેન્દ્રસિંહ રાણાકૈલાબા જગદીશસિંહ ચુડાસમા (55 વર્ષ)
રાજેશ્રીબા નરેન્દ્રસિંહ રાણા (47 વર્ષ)
દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (32 વર્ષ)
નીતાબા ભગીરથસિંહ જાડેજા (53 વર્ષ)
પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (35 વર્ષ)
રિદ્ધિબા પ્રતિપાલસિંહ (ઉંમર 13)
દિવ્યેશ્રીબા પ્રતિપાલસિંહ (ઉંમર 10 માસ)
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને લખતર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
