રાહુલનું લોકસભા સભ્યપદ ફરી બહાલ થશે
હવે અવિશ્વાસ પ્રસ્તાવ સમયે રાહુલ ફરી લોકસભામાં પ્રવેશ કરે તેવા સંકેત
► કોંગ્રેસે તૈયારી કરી: પક્ષના નેતા અધિર રંજન ચૌધરી લોકસભા અધ્યક્ષને મળ્યા: સુપ્રીમના ચૂકાદાની નકલની રાહ: ધારાશાસ્ત્રીઓની ટીમ કામે લાગી
નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે મોદી સરનેમ માનહાની કેસમાં 2 વર્ષની થયેલી જેલ સજા સામે સુપ્રીમકોર્ટે ‘સ્ટે’ આપતા જ હવે કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનું છીનવાયેલું વાયનાડ લોકસભા બેઠકનું સભ્યપદ પણ ફરી બહાલ થશે. આજે ચૂકાદો આવતા જ લોકસભામાં કોંગ્રેસના નેતા શ્રી અધિર રંજન ચૌધરી સીધા લોકસભા અધ્યક્ષ પાસે પહોંચી ગયા હતા અને તેમને રાહુલ ગાંધીનું સભ્યપદ બહાલ કરવાની માંગણી કરી હતી.
અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સુપ્રીમના ચુકાદાની કોપી હજું મળી નથી તેવું જણાવીને આ નકલ મળ્યા બાદ તેઓ આગળની કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. હવે કોંગ્રેસ પક્ષે આ ચૂકાદાની સતાવાર નકલ ઝડપથી લોકસભા અધ્યક્ષને મળે અને રાહુલની સદસ્યતા પુન: બહાલ થાય તે નિશ્ચીત કરવા સીનીયર ધારાશાસ્ત્રીઓને જણાવ્યું છે. રાહુલ ગાંધી ફરી લોકસભામાં જઈ શકશે અને સંભવત તેઓ તા.8થી શરૂ થનારી સરકાર સામેની અવિશ્ર્વાસ દરખાસ્ત પર પણ બોલશે.