- 60થી વધુ વેપારીઓ સાથે મિટિંગ કરી પ્રશ્નો મેળવ્યા : પેસેન્જર ભરવા ગમે ત્યાં માર્ગ પર રિક્ષા ઊભી રાખતા ચાલકો અને નાણાવટી ચોક પરના જાસલ કોમ્પલેક્ષ બહાર આડેધડ થતાં પાર્કિંગનો પ્રશ્ન કાયમી
વોઇસ ઓફ ડે રાજકોટ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ પ્રાણ પ્રશ્ન છે.અને આ પ્રશ્નને હલ કરવા માટે ટ્રાફિક પોલીસ મેદાનમાં ઉતરી છે. જેમાં તેમના દ્વારા રૈયા રોડ અને હનુમાન મઢી પરના માથાના દુખવા સમા થતાં ટ્રાફિકનો નિરાકરણ લાવવા ત્યાંના 60 જેટલા વેપારીઓ સાથે મિટિંગ યોજી હતી. અને તેમની પસેથી પ્રશ્નો મેળવી તેનો હલ લાવવા એક નવો જ એક્શન પ્લાન બનાવ્યો છે. અમુક પ્રશ્નો તો તેમના દ્વારા હાજરમાં જ ઉકેલ લાવવામાં આવ્યો હતો.
રાજકોટમાં જો કોઈ સળગતો પ્રશ્નો હોઇ તો તે હમેશા માટે ટ્રાફિકનો પ્રશ્ન જ રહ્યો છે. માર્ગ પર આડેધડ થતાં વાહન પાર્કિંગ,પેસેન્જર ભરવા માટે રોડ પર જ ઊભા રહી જતાં રિક્ષા ચાલકો લોકો માટે માથાનો દુખાવો બન્યા છે. ત્યારે આનો હલ લાવવા માટે ડીસીપી પૂજા યાદવની સૂચના હેઠળ એસીપી જે. બી. ગઢવી,પી.આઇ એમ.ડી.ગઢવી,પી.એસ.આઈ ડી.ટી. સુમેરા, પી.એસ.આઈ જે.એન.પારગીએ હનુમાનમઢી ચોકથી રૈયાચોકડી સુધી ટ્રાફીક સમસ્યાના પ્રશ્ન ઉપસ્થીત થતા હોય જે બાબતે હનુમાનમઢી ચોકથી રૈયાચોકડી સુધી દુકાન ધારક અને વેપારીઓની બ્રહ્મસમાજ હોલ ખાતે મિટિંગ કરી હતી.
જ્યારે આ કાર્યક્રમમાં હનુમાનમઢીથી રૈયાચોકડી સુધી દુકાન ધરાવી વેપાર ધંધો કરતા આશરે ૬૦ જેટલાં વેપારી હાજર રહ્યા હતા.અને તેમને પોતાના પ્રશ્નોમાં જાસલ કોમ્પલેક્ષ બહાર આડેધડ પાર્કિંગ થતું હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસે તાત્કાલિક ત્યાં ડ્રાઈવ ગોઠવી વાહનો ટોઇંગ કર્યા હતા. ઉપરાંત હનુમાન મઢી પાસે અને રૈયા ચોકડી પાસે રિક્ષા ચાલકો પેસેન્જર ભરવા માટે રિક્ષા માર્ગ પર ગમે ત્યાં ઊભી રાખતા હોવાથી સ્કૂલ બસ અને લોકોને જવામાં મુશ્કેલી પડતી હોવાથી પોલીસે ત્યાં ડ્રાઈવ ગોઠવી હતી. ઉપરાંત અન્ય પ્રશ્નોને મેળવી આગામી દિવસોમાં તેનો નિકાલ લાવવા એક્શન પ્લાન બનાવ્યો છે.
બોક્ષ
હે. મઢી પાસેના શૌચાલયની જગ્યા ફેરવવા મનપાના અધિકારીઓ સાથે બે દિવસમાં મિટિંગ કરાશે : ટ્રાફિક એસીપી
જ્યારે આ મામલે ટ્રાફિક એસીપી જે.બી.ગઢવી અને પીઆઇ એમ.ડી.ગઢવીએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.કે,હનુમાન મઢી પાસે આવેલા શૌચાલયનો પ્રશ્ન ઘણા વેપારીઓએ જણાવ્યો હતો. જેથી આ શૌચાલયને ત્યાંથી બીજી જગ્યા પર ફેરવવા માટે બે દિવસમાં મનપાના અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવવાની છે. અને તેનો નિકાલ વહેલી તકે લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.