- કનકનગરમાં કુરિયર પેઢીની ઓફિસને નિશાન બનાવી ચડ્ડી-શર્ટ ધારી શખસ 4.65 લાખની રોકડ પર હાથફેરો કરી ગયો : વેપારીએ પેમેન્ટ ચૂકવવા પૈસા ઓફિસમાં રાખ્યા’તા
- ત્રંબા પાસે નિંદ્રાધીન પટેલ પરિવારને સ્પ્રે છાંટી તસ્કરો 8 તોલા સોનું અને 50 હજાર રોકડ ચોરી ગયા : તસ્કર સેટીમાં અથડાતાં પરિવાર જાગ્યો’તો 10 ફૂટની વંડી ઠેકી નાશી ગયો
રાજકોટ હવે તસ્કરોના હવાલે હોય તેમ દિન-પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે.ત્યારે ગઇકાલે તસ્કરોએ પોલીસને સીધો પડકાર ફેક્યો હતો.અને 24 કલાકમાં બે ચોરીને અંજામ આપી લખોની મતા ચોરી ગયા હતા.જેમાં પ્રથમ બનાવ સમાકાંઠે કનકનગરમાં કુરિયર પેઢીની ઓફિસના તાળા તોડી ચડ્ડી-શર્ટ ધારી શખસ 4.65 લાખ રોકડ ચોરી કરી ગયા હતા.જ્યારે બીજા બનાવમાં યાજ્ઞિક રોડ પર કપડાંની દુકાન ધરાવતા અને ત્રંબામાં રહેતા વેપારી અને તેનો પરિવાર રાત્રિના નિંદ્રાધીન હતો ત્યારે પરિવારને ઘેન ચડે તેવો કોઈ સ્પ્રે છાંટી 8 તોલા સોનું અને 50 હજાર રોકડ ચોરી ગયા હતા.અને ચોરી કરી ભગવા જતાં હતા ત્યારે એક તસ્કર સેટીમાં અથડાતાં પરિવાર જાગી ગયો હતો.અને તસ્કર 10 ગુટ ઊચી વંડી ઠેકી ભાગી ગયો હતો.જ્યારે આ મામલે તસ્કરોનું પગેરું મેળવવા આજીડેમ પોલીસ,થોરાળા પોલીસ, ડીસીબી, એલસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પ્રથમ બનાવની માહિતી મુજબ સંત કબીર રોડ પર કનકનગર-૯માં આવેલી આઇ સ્પીડ કુરીયર સર્વિસની ઓફિસમાં ચોરી થયાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી.વાઘેલા સહીતની ટીમ દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પેઢી ખાતે હાજર સંચાલકના ભત્રીજા હર્ષભાઇ ભરતભાઈ પડીયાએ જણાવ્યું હતું કે તસ્કર મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસ્યો હતો. સીસીટીવી ચેક કરતા ચડ્ડી અને શર્ટ પહેરેલો એક શખ્સ રાતે ૩:૨૫ કલાકે ડીસમીસ જેવા હથીયારથી તાળુ તોડી અંદર ઘુસતો અને બાદમાં વીસેક મિનીટમા ચોરી કરી ભાગી જતો દેખાયો હતો. તસ્કર ચાંદીનો કંદોરો એક તથા રોકડા ૪.૬૦ લાખ મળી કુલ ૪ લાખ ૬પ હજારની ચોરી કરી ગયો હતો. કોઇ વેપારીને પેમેન્ટ ચુકવવાનું હોઇ તેના માટે રકમ રાખી હતી.હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.

બીજા બનાવમાં ત્રંબા ગામમાં સરધાર સુપર માર્કેટવાળી શેરીમાં પોપ્યુલર સ્કૂલની બાજુમાં રહેતા હરેશભાઈ રૈયાણીના મકાનમાં મોડીરાત્રે બે થી ત્રણ વાગ્યાના સુમારે ત્રાટકેલા તસ્કરો અંદાજીત આઠ તોલા સોનાના દાગીના અને રોકડ રૂા.50 હજારની ચોરી કરી નાસી છૂટતા આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.જ્યારે આ મામલે ખેડૂત હરેશભાઈ રૈયાણીના પુત્ર સાગર રૈયાણીએ જણાવ્યુ હતુ કે તેમના પિતા ખેતી કામ કરે છે અને પોતે યાજ્ઞિક રોડ પર કપડાની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓ માતા-પિતા, પત્ની અને પુત્ર સાથે રહે છે. ગઈકાલે રાતે તે બે વાગ્યે બજારમાંથી ઘરે આવી પોતાના રૂમમાં સુઈ ગયો હતો.બાદમાં રાતે ત્રણ વાગ્યે તેમની માતાએ તેમને જગાડી ઘરમાં ચોર આવ્યાની વાત કરી હતી. તેમજ જણાવ્યુ હતુ કે તેમના માતા-પિતા પર સ્પ્રે જેવુ કંઈ છાંટતા બંને નિંદ્રાધીન થઈ ગયા હતા.જે બાદ તસ્કર ભાગવા જતા તે સેટી સાથે અથડાતા તેમની માતાની નિંદર ઉડી જતા તસ્કર 10 ફૂટ ઉંચી દિવાલ ઠેકી નાસી છૂટયો હતો. બાદમાં રૂમમાં જોતા માલસામાન વેરવિખેર પડેલ હતો અને દાગીના – રોકડ રૂપિયા જોવા ન મળતા પોલીસને જાણ કરી હતી. અને આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.ત્યારે રાજકોટમાં 24 કલાકમાં તસ્કરોએ બે ચોરીને અંજામ આપતા લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો છે.