આજથી ભારતમાં ક્રિકેટનો ‘તહેવાર’
IPL-17: ૧૦ ટીમ, ૧૦ ગ્રાઉન્ડ, ૬૬ દિવસ, ૭૪ મેચ, ૨૪૧ ખેલાડી
૧ ટ્રોફી’ને ૨૦ કરોડના ઈનામ માટે દરરોજ રમાશે એક એકથી ચડિયાતા મુકાબલા
ધોનીની CSK સામે આજે ડુપ્લેસીસની RCBની સાંજે ૭:૩૦ વાગ્યાથી ટક્કર
આજથી ભારતમાં ક્રિકેટનો તહેવાર શરૂ થવાનો છે. આ તહેવારમાં ચોગ્ગા-છગ્ગા-વિકેટ અને ક્યારેક-ક્યારેક નાના-મોટા વિવાદોની વણઝાર જોવા મળશે. ભારત જ નહીં બલ્કે આખું વિશ્વ જેની આતૂરતાથી રાહ જોઈને બેઠું છે તે ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની ૧૭મી સીઝનનો પ્રારંભ સાંજે ૭:૩૦ વાગ્યાથી થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પહેલી મેચથી ૬૬ દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ જશે.
પહેલી મેચ ઐતિહાસિક એમ.ચિદમ્બરમ સ્ટેડિયમ પર રમાશે. પરંપરાથી વિપરિત પહેલી ટક્કર ચેમ્પિયન અને રનર્સઅપ વચ્ચે નહીં બલ્કે દક્ષિણ ભારતની બે સૌથી પાવરફૂલ ટીમ વચ્ચે થશે. ધોની સામે કોહલીની ટક્કર જોવા માટે ક્રિકેટરસિકો આતૂર બન્યા છે. બીસીસીઆઈએ અત્યાર સુધી ૨૧ મેચનો કાર્યક્રમ જાહેર કર્યો છે જે ૨૨ માર્ચથી ૭ એપ્રિલ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો ૨૬ મેએ રમાશે જેના પાંચ દિવસ બાદ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં ટી-૨૦ વર્લ્ડકપ શરૂ થઈ જશે.
આમ તો દર વખતે ઈનામની રકમ ૨૦ કરોડ રૂપિયા હોય છે પરંતુ આ વખતે કેટલી રકમ ઈનામમાં અપાશે તેની સત્તાવાર જાહેરાત બીસીસીઆઈ તરફથી કરવામાં આવી નથી પરંતુ ગત વર્ષ જેટલી જ રકમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ ઉપરાંત રનર્સ અપ ટીમને ૧૩ કરોડ રૂપિયાનું ઈનામ મળશે.
સ્ટાર સ્પોર્ટસ-જિયો સીનેમા ઉપર થશે લાઈવ પ્રસારણ
ક્રિકેટરસિકો આઈપીએલના મુકાબલા ટીવી પર સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની ચેનલ ઉપર નિહાળી શકશે. આ ઉપરાંત ઓટીટી પર જિયો સીનેમા ઉપર મેચ નિહાળવા મળશે. મોબાઈલ અથવા લેપટોપ પર આઈપીએલનો લુત્ફ ઉઠાવવા માટે જિયો સિનેમા એપ અથવા વેબસાઈટની મદદ લેવી પડશે.
એ.આર.રહેમાન, અક્ષય-ટાઈગર સહિતના કલાકારો કરશે જમાવટ
આજે આઈપીએલનો પ્રારંભ થાય તે પહેલાં સાંજે ૬:૩૦ વાગ્યાથી ભવ્યાતિભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે જેમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ સહિતનાનો સમાવેશ થાય છે. બન્ને પોતાના ડાન્સથી ક્રિકેટરસિકોનું મનોરંજન કરશે. આ ઉપરાંત પ્રખ્યાત ગાયક એ.આર.રહમાન અને સોનુ નિગમ સહિતના કલાકારો પણ જમાવટ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે કોહલી રચશે ઈતિહાસ
આજે ચેન્નાઈ સામે વિરાટ કોહલી ઈતિહાસ રચવાનો છે. કોહલી પાસે ચેન્નાઈ વિરુદ્ધ ૧૦૦૦ રન પૂરા કરવાની તક રહેશે. તેણે ચેન્નાઈ સામે ૩૧ મેચમાં ૯૮૫ રન બનાવ્યા છે.જો તે ૧૫ રન બનાવી લેશે તો ધવન બાદ આવું કરનારો બીજો બેટર બનશે. આ ઉપરાંત કોહલીને ટી-૨૦માં ૧૨ હજાર રન બનાવવા માટે ૬ રનનું છેટું છે.