પૂનામાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ દમદાર: પંત જ કરશે વિકેટકિપિંગ
બેંગ્લુરુ ટેસ્ટમાં કારમા પરાજય બાદ આજથી ટીમ ઈન્ડિયા પૂનામાં ન્યુઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. પૂનામાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ એકદમ દમદાર હોય તેને યથાવત રાખવાના ઈરાદા સાથે ખેલાડીઓ મેદાને ઉતરશે. દરમિયાન ગૌતમ ગંભીરે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે શુભમન ગીલ પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો હશે પરંતુ મેચ પહેલાં તેના ઉપર નિર્ણય લેવાશે. ગંભીરે કે.એલ.રાહુલની ટીકા અંગે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ ખેલાડીની રમતના આધારે પસંદગી કરે છે નહીં કે સોશ્યલ મીડિયા પર થઈ રહેલી ટીકાને ધ્યાનમાં રાખીને ! અમે અત્યારે ઑસ્ટે્રલિયા શ્રેણી નહીં બલ્કે ન્યુઝીલેન્ડ સામેની બાકી રહેલી બે મેચ અંગે જ વિચારી રહ્યા છીએ. ગંભીરે એમ પણ કહ્યું કે પંત આ ટેસ્ટ મેચમાં ભારત વતી વિકેટકિપિંગ કરશે.
ઉલ્લેખનીય છે કે બેંગ્લુરુ ટેસ્ટની પહેલી ઈનિંગમાં રાહુલ ૦ રને આઉટ થયો હતો જ્યારે બીજી ઈનિંગમાં ૧૨ જ રન બનાવી શક્યો હતો. આ મેચમાં ભારતીય ટીમનો આઠ વિકેટે પરાજય થયો હતો. જો કે ગંભીરના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ટીમ ઈન્ડિયામાં જળવાઈ રહેશે.