…તો ૧૧૨ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા વગાડશે ડંકો
ધર્મશાલામાં યાદગાર રેકોર્ડ બનાવવાની અણી પર રોહિતસેના
ભારતીય ટીમ અત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. શ્રેણીનો અંતિમ મુકાબલો આવતીકાલથી ધર્મશાલામાં રમાશે. જો કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે શ્રેણીમાં પહેલાંથી જ ૩-૧ની અજેય લીડ મેળવી લીધી છે મતલબ કે શ્રેણી ભારતના નામે થઈ ચૂકી છે. હવે જો ભારતીય ટીમ શ્રેણીનો અંતિમ મુકાબલો પણ પોતાના નામે કરી લ્યે છે તો તે ટેસ્ટ ઈતિહાસમાં ૧૧૨ વર્ષ બાદ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આ રેકોર્ડ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મુકાબલો હાર્યા બાદ બાકીના ચારેય મુકાબલા જીતવાનો છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ત્રણ વખત જ આવું બન્યું છે જ્યારે કોઈ પાંચ મેચની દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીમાં કોઈ ટીમે પહેલી મેચ હારીને બાકીના ચારેય મુકાબલા જીતી લીધા હોય. આવું સૌથી પહેલાં ૧૮૯૭-૯૮ દરમિયાન બન્યું હતું. ત્યારે ઓસ્ટે્રલિયાએ એશેઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. ત્યારબાદ બીજી વખત ઓસ્ટે્રલિયાએ જ આ રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે કાંગારું ટીમે એશેઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડને જ રગદોળ્યું હતું. આ શ્રેણી ૧૯૦૧-૦૨ દરમિયાન રમાઈ હતી. જ્યારે ત્રીજી વખત ઈંગ્લેન્ડ ટીમે આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. ટીમે ૧૯૧૧-૧૨ દરમિયાન શ્રેણીનો પ્રથમ મુકાબલો હાર્યા બાદ ઓસ્ટે્રલિયાને તેના જ ઘરમાં ૪-૧થી હરાવ્યું હતું. આ પછી કોઈ ટીમ આ રેકોર્ડ નોંધાવી શકી નથી.