કોહલી-કાર્તિકે પંજાબના મોઢામાંથી છીનવી જીત
બેંગ્લોરનો પ્રથમ વિજય તો પંજાબનો પ્રથમ પરાજય
બેંગ્લોરે આઈપીએલ-૧૭ની સીઝનમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. તેણે પંજાબને ૪ વિકેટે પરાજિત કર્યું હતું. આ મેચમાં કોહલીએ તોફાની અંદાજમાં ફિફટી બનાવી હતી. અંતમાં મુકાબલો પંજાબ તરફે જઈ રહ્યો હતો પરંતુ દિનેશ કાર્તિકે ૧૦ દડામાં અણનમ ૨૮ રન ફટકારીને બાજી પલટાવી નાખી અને પંજાબના મોઢામાંથી જીત છીનવી લીધી હતી. બેંગ્લોરની આ પહેલી જીત તો પંજાબની આ પહેલી હાર છે. મેચમાં ૧૭૭ રનના લક્ષ્યાંકના જવાબમાં બેંગ્લોરે ૬ વિકેટ ગુમાવીને ૧૯.૨ ઓવરમાં જ મેચ લીધી હતી. ટીમ માટે કોહલીએ ૪૯ દડામાં સૌથી વધુ ૭૭ રનની ઈનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે અણનમ ૨૮ અને મહિપાલ લોમરોરે અણનમ ૧૭ રનની ઈનિંગ રમી હતી. પંજાબ વતી કગિસો રબાડા અને હરપ્રીત બરારે ૨-૨ વિકેટ મેળવી હતી. બેંગ્લોરને જીત માટે ૧૮ દડામાં ૩૬ રનની જરૂર હતી જે કાર્તિક-લોમરેરે બનાવી લીધા હતા.