અશ્વિન વિશ્વનો બોલર નંબર ૧
બુમરાહ ત્રીજા ક્રમે: કોહલીને હટાવી જયસ્વાલ આઠમા ક્રમે: રોહિત-ગીલને ફાયદો
આઈસીસીએ ટેસ્ટ રેન્કીંગ જાહેર કર્યું છે જેમાં આર.અશ્વિન દુનિયાનો નંબર વન બોલર બન્યો છે. ધર્મશાલામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ૧૦૦મી ટેસ્ટમાં ૯ વિકેટ લીધા બાદ તે એક સ્થાન ઉપર ચડીને ટોચના ક્રમે પહોંચ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહ ત્રીજા ક્રમે પહોંચ્યો છે. આ ઉપરાંત કુલદીપ યાદવે પણ લાંબી છલાંગ લગાવી છે. જ્યારે બેટરોમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલને પણ ફાયદો છે.
જ્યારે બીજા નંબરે ૮૪૭ રેટિંગ પોઈન્ટ સાથે ઓસ્ટે્રલિયાનો જોશ હેઝલવૂડ અને ત્રીજા નંબરે જસપ્રીત બુમરાહ છે. કગિસો રબાડા ચોથા અને પેટ કમીન્સ પાંચમા નંબરે છે. ટોપ-૧૦ બોલરોમાં રવીન્દ્ર જાડેજા સાતમા સ્થાને છે. આ જ રીતે ટોપ-૨૦માં કુલદીપ યાદવની એન્ટ્રી થઈ છે. તેણે ૧૫ સ્થાનની છલાંગ લગાવી છે અને ૧૬મા ક્રમે પહોંચ્યો છે. એકંદરે ટોપ-૨૦ બોલરોમાં ભારતના ચાર બોલરો છે.
ટેસ્ટ બેટર રેન્કીંગમાં રોહિત શર્મા અને શુભમન ગીલને ફાયદો થયો છે. રોહિત પાંચ સ્થાનની છલાંગ લગાવી અને છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. યશજસ્વી જયસ્વાલ પણ બે સ્થાનના સુધારા સાથે આઠમા ક્રમે છે. વિરાટ કોહલીને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે નવમા ક્રમે ધકેલાયો છે. ઘણા સમયથી ટીમમાંથી બહાર ફેંકાયેલા ઋષભ પંતને એક સ્થાનનું નુકસાન પહોંચ્યું છે અને ૧૫મા ક્રમે પહોંચ્યો છે. આ યાદીમાં કેન વિલિયમસન પ્રથમ, ઈંગ્લેન્ડનો જો રુટ બીજા અને પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા ક્રમે છે.