રાજકોટ જિલ્લાના 42 હજાર ગરીબોનું રૂપિયા 120 કરોડના ખર્ચે થશે કલ્યાણ
ગોંડલ ખાતે 27મીએ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 2200થી વધુ લાભાર્થીઓને અપાશે અનેક યોજનાના લાભ
રાજકોટ : આગામી તા.27ના રોજ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન થઇ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજનાર છે જેમાં જિલ્લાના 42 હજારથી વધુ ગરીબ પરિવારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી અંદાજે રૂપિયા 120 કરોડથી વધુના લાભ આપવામાં આવશે.
રાજકોટ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે જિલ્લા પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ વચ્ચે ગરીબ લાભાર્થી કુટુંબોને વિવિધ 57 પ્રકારની યોજનાઓના લાભ આપવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે, ગોંડલ ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં કુલ 42 હજાર જેટલા લાભાર્થી પરિવારોને અંદાજે રૂપિયા 120 કરોડ રૂપિયાના લાભ વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી આપવામાં આવશે જેમાં 2200જેટલા પરિવારોને સ્થળ ઉપર જ લાભ આપવામાં આવશે.
વધુમાં રાજકોટ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થી પરિવારોને સીવણ, કેટરિંગ, ગેરેજ, સુથારીકામ, લુહારીકામ સહિતની વિવિધ 27 પ્રકારની કીટના લાભ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે ઉપરાંત આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની જુદી-જુદી યોજનાઓના સીધા જ લાભ ગરીબ પરિવારોને આપવામાં આવશે અને કુલ મળી રાજકોટ જિલ્લામાં લાભાર્થી કુટુંબોની સંખ્યા 42 હજારથી વધુ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.