મહાપાલિકામાં દરેકના મોઢે એક જ વાત ! હવે કોનો વારો ?
ચીફ ફાયર ઓફિસર ખેરની ધરપકડ તો શરૂઆતમાં જ થઈ જવાની હતી; કામગીરી ખોરવાઈ જવાની ભીતિએ બધું પાછું ઠેલાતું હતું’ની વાત
સરકાર દ્વારા બનેલી સીટ'એ ફાયર બ્રિગેડને જવાબદાર ઠેરવ્યાના ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી લેવાઈ
હવે મનપાના એકાદ-બે ઉચ્ચ અધિકારી સાણસામાં આવી રહ્યાની ચર્ચા: એક બાદ એક ધરપકડથી પદાધિકારીઓના મનમાં પણ ફાળ વોઈસ ઓફ ડે, રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ લોકો ભુંજાઈ ગયા બાદ આ કાંડ પાછળ જવાબદારોને સાણસામાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘટના બન્યાને આજે ૨૯ દિવસ વીતી ગયા છે ત્યાં સુધીમાં ૧૫ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયા આણી ટોળકી દબોચાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને એસીબીના કબજામાં રહેલા ભીખા જીવા ઠેબા તેમજ વેલ્ડર મહેશ રાઠોડની ધરપકડ કરી લીધી છે. એકંદરે દર ત્રણ-ચાર દિવસે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહાપાલિકાની એકાદ-બે
વિકેટ’ ખેડવવામાં આવી રહી હોવાનો સિલસિલો ચાલી રહ્યો હોય મહાપાલિકાની કચેરીમાં હવે દરેકના મોઢે એક જ વાત સાંભળવા મળી રહી છે કે હવે કોનો વારો આવશે ?
ચીફ ફાયર ઓફિસર ખેરની ધરપકડ થવામાં આટલો વિલંબ કેમ થયો ? આ પ્રકારની ચર્ચા વચ્ચે એક વાત એવી પણ બહાર આવી રહી છે કે તેમની ધરપકડ ઘણા સમય પહેલાં જ કરી લેવામાં આવનાર હતી પરંતુ ચીફ ફાયર ઓફિસર કક્ષાના અધિકારીની ધરપકડ થાય તો કામગીરીને અસર પડે તેમ હોવાથી બધું પાછું ઠેલાઈ રહ્યું હતું. એક બાજુ મનપા દ્વારા ફાયર એનઓસી વગરના અનેક બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવ્યા હોવાથી તેને ખોલવા માટે ચીફ ફાયર ઓફિસરની કામગીરી ઘણી મહત્ત્વની બની રહેતી હોય છે. આ ઉપરાંત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવા ઠેબા પણ એસીબીના કબજામાં હોવાથી એક સાથે બબ્બે ફાયર ઓફિસરની ધરપકડ થાય તો કામગીરી ખોરવાઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી હોવાથી ધરપકડને ટાળવામાં આવતી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.
જો કે સરકાર દ્વારા રચાયેલી `સીટ’ દ્વારા અગ્નિકાંડ પાછળ ફાયર બ્રિગેડની જવાબદારી સૌથી પહેલી ફિક્સ કરવામાં આવી હોવાથી પોલીસે ખેરને તાત્કાલિક પકડી પાડ્યા છે સાથે સાથે ઠેબાને પણ દબોચવામાં આવ્યા છે.
ખેર-ઠેબાની ધરપકડ થયા બાદ હવે મહાપાલિકાના એકાદ-બે ઉચ્ચ અધિકારી સુધી અગ્નિકાંડની આગના લબકારા પહોંચવાની શક્યતા પ્રબળ બની ગઈ છે અને ટૂંક સમયમાં જ અધિકારીની ધરપકડ થાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં…!
અગ્નિકાંડ ન થયો હોત તો ભ્રષ્ટાચાર ક્યારેય સામે આવ્યો હોત ખરો ?
સાગઠિયા, ખેર, ઠેબા સહિતનાની ધરપકડ અગ્નિકાંડ પાછળ બેદરકારીને લઈને કરવામાં આવી છે ત્યારે જાણકારોનું એક જૂથ એવી દલીલ પણ કરી રહ્યું છે કે જો અગ્નિકાંડ ન થયો હોત તો આ બધાનો ભ્રષ્ટાચાર કે બેદરકારી ક્યારેય ઉજાગર થઈ શક્યા હોત ખરા ? ખેર સામે ભ્રષ્ટાચાર મુદ્દે અત્યારે તપાસ ચાલી રહ્યાની વાત સામે આવી નથી પરંતુ સાગઠિયા અને ઠેબાએ તો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું `ઓનપેપર’ પૂરવાર થઈ ચૂક્યું છે ત્યારે મહાપાલિકાના અત્યાર સુધીના કમિશનરો, ડે.મ્યુ.કમિશનરો, પદાધિકારીઓ પણ આ લોકોના ભ્રષ્ટાચારને શા માટે ઉઘાડા ન પાડી શક્યા તે પણ એક મહત્ત્વનો મુદ્દો બન્યા વગર રહેતો નથી.