દરેક ચેરમેનને બે કલાક ઑફિસમાં ફરજિયાત બેસવાનું શહેર પ્રમુખનું ફરમાન
સવારે ૧૧થી ૧ સુધી મહાપાલિકામાં સમય ફાળવવા તાકિદ: અરજદારને વિવિધ દાખલા કઢાવવા સહિતના કામે ધક્કા ન થાય તે જોવાનું રહેશે: સંકલન'માં રહીને કામ કરવા ટકોર વૉઈસ ઑફ ડે, રાજકોટ રાજકોટ મહાપાલિકામાં તાજેતરમાં જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસક પક્ષ નેતાની જાહેરાત સાથે જ ૧૫ સમિતિઓ તેમજ તેના ચેરમેન જાહેર કરી દેવામાં આવ્યા છે. દરેક ચેરમેને પોતાનો ચાર્જ સંભાળી લીધાના બીજા જ દિવસે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ ચેરમેન સાથે બેઠક કરીને કામગીરી વધુ
ધારદાર’ બનાવવા તાકિદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને પ્રમુખ તમામ ચેરમેનોને બે કલાક ઑફિસમાં ફરજિયાત હાજરી આપવા તેમજ એક પણ ચેમ્બર ખાલી ન રહે તે જોવા તાકિદ કરી છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે પ્રમુખે તમામ ચેરમેનોને સુચના આપી છે કે સવારે ૧૧થી ૧ વાગ્યા સુધી તેમણે અચૂક પોતાની ચેમ્બરમાં હાજર રહેવું કેમ કે આ સમય દરમિયાન જ અરજદારો વિવિધ પ્રકારના દાખલા કઢાવવા તેમજ મહાપાલિકાને લગતા કામ માટે કચેરી સુધી આવતા હોય છે એટલા માટે આ સમયે જો ચેરમેન પોતાની ચેમ્બરમાં હાજર હશે તો અરજદારને ધક્કો નહીં થાય અને તેમનું કામ સરળતાથી પૂર્ણ થશે. આ ઉપરાંત દરેક ચેરમેને સંકલન'માં રહીને કામગીરી કરવા ઉપર ભાર આપવા પણ પ્રમુખે સૌને આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી સમિતિઓની રચના કરાઈ છે ત્યારથી લઈ આજ સુધી છાનેખૂણે અસંતોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે આ અસંતોષ આગ ન બની જાય અને કોઈને
વાંક’ કાઢવાની તક ન મળી જાય એટલા માટે સમિતિઓની રચનાથી જ ચીવટ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ દરેક દિવસે એવું જ બનતું હતું કે જ્યારે કોઈ અરજદાર મનપા કચેરીએ આવે એટલે ચેરમેન તેની ઑફિસમાંથી જ ગાયબ જ જોવા મળતા હતા. આ મુદ્દાને લઈને અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવતી હતી પરંતુ તેનો કોઈ નિવેડો આવતો ન્હોતો. જો કે હવે તમામ ચેરમેનને પ્રમુખ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ત્યારે તેનું પાલન કેટલા અંશે થાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.