રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ પર હવે રાસોત્સવ-મ્યુઝિકલ નાઈટની બોલશે રમઝટ !
મુખ્ય પીચને નુકસાન થયા વગર ગ્રાઉન્ડ ભાડે અપાશે (આ વાત શક્ય જ નથી)
૩૬૫ દિ’માંથી ૩૧૫ દિ’ ગ્રાઉન્ડ ખાલી રહેતું હોય તેને લગ્ન સહિતના માટે ભાડે આપી એક કરોડની આવક કરવાનો નિર્ણય
જ્યાં અનેક આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ચૂકી છે તે રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટની સાથે સાથે રાસોત્સવ, મ્યુઝિકલ નાઈટ, મેરેજ પાર્ટી સહિતનાની રમઝટ બોલતી જોવા મળશે ! સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા બજેટમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે વર્ષના ૩૬૫ દિવસમાંથી ૩૧૫ દિવસ સુધી સ્ટેડિયમ ખાલી રહેતું હોવાથી તંત્રને તેના થકી કોઈ જ આવક થઈ રહી ન્હોતી એટલા માટે હવે સ્ટેડિયમને ક્રિકેટની ટૂર્નામેન્ટ યોજવા ઉપરાંત લગ્ન સમારંભ, દાંડિયા રાસ, મ્યુઝિકલ નાઈટ સહિતના કોમર્શિયલ હેતુ માટે પણ ભાડે આપવામાં આવશે. જો કે ગ્રાઉન્ડ ભાડે અપાય ત્યારે મુખ્ય પીચને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. આમ કરીને તંત્રને એક કરોડની આવકનો અંદાજ રાખવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે કે રાસોત્સવ, મ્યુઝિકલ નાઈટ કે પછી લગ્ન સમારંભ યોજાય એટલે તેમાં મુખ્ય પીચ કે જે ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ આવેલી છે તેને નુકસાન થયા વગર રહે જ નહીં કેમ કે આ ત્રણેય આયોજનમાં મુખ્ય પીચ ઉપર લોકોની સતત અવર-જવર રહે છે પરંતુ તંત્રવાહકો આ વાતને ભૂલી ગયા હોય તેવું લાગ્યા વગર રહેતું નથી !