ભારે કરી: સિવિલ હોસ્પિટલ પાસે ખર્ચ કરવા ૩૨૦૦૦ રૂપિયા નથી !!
ઓપરેશન કર્યા બાદ તેમાં વપરાયેલા સાધનોને જંતુમુક્ત કરવાનું મશીન અઢી મહિનાથી બંધ છતાં તેને શરૂ કરવા માટે ખર્ચ કરવામાં તંત્રના ઠાગાઠૈયા: બરોડાના એન્જિનિયરે એક જ દિ’માં મશીન રિપેર કરી આપવા તૈયારી દર્શાવી જેનું એસ્ટીમેટ ૩૨,૦૦૦ આપતાં જ પીછેહઠ
મેટ્રન, એકાઉન્ટન્ટ સહિતનાને અઢી મહિનામાં ચાર વખત પત્ર લખ્યો છતાં કોઈ જ નિર્ણય નહીં લેવાઈ રહ્યાની ચર્ચા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હજારો ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓ જ્યાં પોતાની સારવાર કરાવે છે તે સિવિલ હોસ્પિટલનો `વહીવટ’ આર્થિક રીતે પડી ભાંગ્યો હોય તેવી સ્થિતિ નિર્માણ પામ્યાનું ડરામણું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. આમ તો દર્દીઓને સુવિધા મળે તે માટે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. આ કરોડો રૂપિયાને જાણે કે પગ આવી જતાં હોય તેવી રીતે ક્યાં ભાગી જાય છે તેની કોઈને ખબર પડતી નથી !! આર્થિક સ્થિતિની વાસ્તવિક્તા એવી છે કે સિવિલ પાસે અત્યારે એક મશીન રિપેર કરાવવા માટે ૩૨,૦૦૦ જેવી રકમ પણ રહી નથી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૫૦થી ૭૫ જેટલા ઓપરેશન થઈ રહ્યા છે. ઓપરેશન થયા બાદ તેમાં વપરાયેલા સાધનોને જંતુમુક્ત કરવા માટે ઓપીડી બિલ્ડિંગ, ટ્રોમા સેન્ટર, આંખનો વિભાગ, પીએમએસએસવાય બિલ્ડિંગ (કોવિડ બિલ્ડિંગ) સહિતના વિભાગોમાં મશીન મુકવામાં આવ્યા છે. ઓપરેશન થયા બાદ તમામ સાધનોને તેના થકી જંતુમુક્ત કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનો થાય છે.
જો કે છેલ્લા અઢી મહિનાથી ઓપીડી બિલ્ડિંગમાં પડેલું મશીન બંધ થઈ જતાં સર્જરી, ઈએનટી વિભાગમાં થતાં ઓપરેશનમાં વપરાયેલા સાધનો કાં તો જંતુમુક્ત કર્યા વગરના રહી જતાં હોવાનું અથવા તો પછી તેને અન્ય વિભાગમાં લઈ જઈ જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે. ઓપીડી બિલ્ડિંગના મશીનને રિપેરિંગ કરવા માટે બરોડાના એક એન્જિનિયરે ૩૨ હજાર રૂપિયાના ખર્ચનો અંદાજ આપ્યો હતો તો બીજા એક એન્જિનિયરે ૬૦થી એક લાખ રૂપિયા સુધીનું એસ્ટીમેટ આપ્યું હતું.
આ પછી મેટ્રન, એકાઉન્ટન્ટ ટાંક સહિતનાને અંદાજે ચારેક વખત મશીન રિપેર કરવા માટે પત્ર લખાયો પરંતુ કોણ જાણે આ પત્રનું કશું ઉપજ્યું જ નહીં અને મશીન રિપેર થયા વગરના જ પડ્યા રહ્યા છે. હવે આ અંગે સિવિલ અધિક્ષક ગંભીર બનીને તાત્કાલિક કાર્યવાહી કરાવે તે જરૂરી બની જાય છે.
કાન-નાક-ગળા તેમજ સર્જરી સહિત ૨૦ જેટલા થઈ રહેલા ઓપરેશન
જ્યાં આ મશીન બંધ પડ્યા છે તે ઓપીડી બિલ્ડિંગમાં ઈએનટી (કાન-નાક-ગળા) તેમજ સર્જરી વિભાગ આવેલો છે. અહીં દરરોજના ૨૦ જેટલા ઓપરેશન કરવામાં આવે છે જેમાં અનેક પ્રકારના સાધનો વાપરવામાં આવે છે પરંતુ તેને જંતુમુક્ત કરવા માટે ડ્રમ ભરીને અન્ય વિભાગમાં લઈ જવામાં આવતા હોય તેના કારણે ઈન્ફેક્શન ફેલાવાનો ખતરો પણ રહેલો છે.
રોડ-રસ્તા રિપેરિંગમાં આરંભે શૂરા’ને પછી પાણીમાં બેસી ગયા જેવું જ થયું !
થોડા સમય પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેથલેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે સિવિલના રોડ-રસ્તા ખરાબ હોવાની ફરિયાદો ઉઠતાં તંત્રવાહકોએ બીજા જ દિવસે કામનું ખાતમુહૂર્ત કરાવી દીધું હતું પરંતુ જાણવા મળ્યા પ્રમાણે દિવાળી બાદથી કામ બંધ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.