અગ્નિકાંડનું ‘સત્ય’ શોધવા ટીમ રાજકોટમાં
સરકાર દ્વારા રચિતસત્ય શોધન કમિટી’ના અધિકારીઓની કલેક્ટર, મ્યુ.કમિશનર, પોલીસ કમિશનર સાથે બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેરેથોન બેઠક

ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડની તપાસમાં ક્યાંય પણ કાચું ન કપાઈ જાય તે માટે હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા એક બાદ એક તપાસ ટીમની રચના કરવામાં આવી રહી છે. આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સરકારે સીટ'ની રચના કરી છે જેના દ્વારા આજે તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચનીસીટ’ પણ અત્યારે તપાસ કરી રહી છે ત્યારે તાજેતરમાં જ સરકારે સત્ય શોધન કમિટી'ની રચના કરવામાં આવી હતી જેમાં ત્રણ સિનિયર આઈએએસ અધિકારીઓ મનિષા ચંદ્રા, અશ્વિની કુમાર અને બેનીવાલને સમાવિષ્ટ કરાયા હતા. આ ત્રણેય અધિકારીઓ અગ્નિકાંડનુંસત્ય’ શોધવા રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં કલાકો સુધી બેઠક કરી હતી.

ત્રણેય અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, પોલીસ કમિશનર બ્રિજેશ ઝા ઉપરાંત ડીસીપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સહિતના અધિકારીઓ સાથે સાંજે ૫:૧૫ વાગ્યાથી બેઠક શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં એકાદ કલાક સુધી ભાગ લીધા બાદ પોલીસ કમિશનર અને ડીસીપી રવાના થઈ ગયા હતા જ્યારે કલેક્ટર અને મ્યુનિ.કમિશનર સાથે ૭:૩૦ વાગ્યા સુધી બેઠક ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હવે સત્ય શોધન કમિટી દ્વારા નવું સત્ય શું ઉજાગર કરવામાં આવે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. આ ઉપરાંત બન્ને `સીટ’ દ્વારા તપાસમાં ક્યાંય ત્રૂટિ રહી ગઈ હશે તો તેને ઠીક કરવાનું કામ પણ આ કમિટી દ્વારા કરવામાં આવશે.
