ઉપલેટા પંથકમાં બાળકોના મોત મામલે રાજ્યકક્ષાની આરોગ્ય ટીમના ધામા
ગાંધીનગરથી દોડી આવેલી ટીમે પાણીના સ્ત્રોત, પાણીના નમૂના લેવા સહિતની કામગીરી કરી
ઉપલેટાના ગણોદ-તણસવા નજીક ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં 4 બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ ઊંધે માથે થયું હતું અને પાણીના નમૂના લેવા સહિતની કામગીરી માટે જુદી-જુદી મોકલી દીધી હતી. આ વચ્ચે મંગળવારે રાજ્યકક્ષાની આરોગ્યની ટીમ પણ આવી પહોંચી હતી.
ઉપલેટાના ગણોદ-તણસવા રોડ પર આવેલા કારખાનાઓમાં રહેતા અને મુજરી કામ કરતાં પરિવારમાં પ્રાથમિક ત્રણ મુજબ કોલેરાને કારણે 4 બાળકોના મોત થયા હતા. જે ઘટનામાં હવે રાજ્યકક્ષાની આરોગ્ય વિભાગની ટીમે પણ જંપલાવ્યું છે અને જે કારખાનામાં આ ઘટના બની હતી તેની મુલાકાત લીધી હતી. સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ગાંધીનગરથી આરોગ્યની ટીમ મંગળવારે ગણોદ-તણસવા રોડ પરના કારખાના વિસ્તારમાં આવી પહોંચી હતી જ્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ પણ તેમની સાથે રહી હતી. ઉપરાંત પાણીના નમૂના લેવા સહિતની કામગીરી કરી હતી. તેમજ પાણીના સ્ત્રોત વિશેની પણ માહિતી મેળવી હતી.
મહત્વનું છે કે, ઉપલેટા પંથકમાં બાળકોના મોત બાદ તંત્રની આંખ ઉઘડી હતી અને 6 કારખાના સીલ પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારના 15 કિલોમીટરમાં આવતા 6 ગામમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે તંત્ર દ્વારા પાણીના નમૂના લેવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.