રાજકોટના સ્વાદ શોખીનો માટે જાણીતું નામ એટલે ‘સદગુરુ બ્રેડ’
બ્રેડ કટકા અને ભરેલી બ્રેડમાં એવી માસ્ટરી કે ખાતા જ રહી જાવ: વિજયભાઇ ઠકરારે નાની રેકડીમાં શરૂ કરેલો વ્યવસાય આજે ત્રણ માળની દુકાને પહોંચ્યો : સામાકાંઠા વિસ્તારમાં સાંજ પડે અને સદગુરુ બ્રેડની દુકાને ગ્રાહકોની જામે ભીડ

રાજકોટમાં ભરેલી બ્રેડ, બ્રેડ કટકા, મસાલા બાસ્કેટ અને તીખા મોરા ગાંઠિયા ખાવાની ઈચ્છા થાય તો એક જ નામ યાદ આવે ‘સદગુરુ બ્રેડ’. વર્ષ 1993થી વિજયભાઇ ઠકરારે સદગુરુ બ્રેડની શરૂઆત બ્રેડ કટકા અને ભેળથી કરી હતી. જે આજે રાજકોટમાં આખામાં જાણીતી બની છે. વિજયભાઇએ પ્રથમ 1500 રૂપેડીમાં નોકરી કરી બાદમાં ખાણી-પીણીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. રેકડીથી શરૂ કરેલો આ વ્યવસાય આજે ત્રણ માળની દુકાન સુધી પહોંચ્યો છે.

રાજકોટના કુવાડવા રોડ પર સંયુક્ત પરિવારમાં રહેતા વિજયભાઇ ઠકરારની સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ટાગોર સ્કૂલની સામે ‘સદગુરુ બ્રેડ’ નામની દુકાન છે. સદગુરુ બ્રેડ નામ એટલું જાણીતું છે કે સામાકાંઠા વિસ્તાર ઉપરાંત શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી અહી લોકો ભરેલી બ્રેડ, બ્રેડ કટકા ખાવા માટે આવે છે. ભરેલી બ્રેડ, બ્રેડ કટકામાં એમની એટલી માસ્ટરી છે કે, જે લોકો એકવાર અહી ભરેલી બ્રેડ અને બ્રેડ કટકનો સ્વાદ ચાખી જાય તે બીજીવાર અહી નાસ્તો કરવા માટે જરૂર આવે છે.
‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં વિજયભાઈના પુત્ર કેતનભાઈએ જણાવ્યું હતું કે, સંઘર્ષના સમયમાં મારા પિતાએ પ્રથમ એક કટલેરીની દુકાનમાં નોકરી કરી હતી. તે સમયે અમારી આવક માત્ર રૂ.1500 હતી. બાદમાં એમણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું. પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એમણે ખાણી-પીણીના ધંધામાં ઝંપલાવ્યું. શરૂઆતમાં એક નાનકડી લારી લીધી અને બ્રેડ કટકા અને ભેળથી શરૂઆત કરી હતી.
શરૂઆતના સમયમાં રણછોડનગર વિસ્તારમાં દુકાનો અને ઇમિટેશનનું વધારે કામ થતું હોય અહી ગરાકી મળી રહે તે માટે અહીથી વ્યવસાયની શરૂઆત કરી હતી. અમે પોપટપરા વિસ્તારમાં રહેતા હતા અને રણછોડનગરમાં રેકડી રાખતા હતા. આમ 10 કિલોમીટર દૂર જાતે રેકડી લઈને જવું પડતું હતું. ધીમે-ધીમે ગ્રાહકોને અમારી બ્રેડ કટકા અને ભેળ દાઢે વળગી અને ગરાકી થવા લાગી. બાદમાં બ્રેડ કટકા, ભેળ ઉપરાંત ભરેલી બ્રેડ, મસાલા બાસ્કેટ અને તીખા-મોરા ગાંઠિયા પણ વેચવાનું શરૂ કર્યું.
રણછોડનગરમાં રેકડીમાં જ 27 વર્ષ સુધી બ્રેડ કટકાનું વેંચાણ કર્યા બાદ પેડક રોડ પર દુકાન લીધી અને અહીથી વ્યવસાય શરૂ કર્યો. આજે ત્રણ માળની દુકાનમાં ગ્રાહકો પરિવાર સાથે બેસીને નાસ્તો કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેતનભાઈએ કહ્યું હતું કે, અમારા ધંધામાં બ્રેડ મહત્વનું પાસું છે. જો બ્રેડ યોગ્ય ન હોય તો ટેસ્ટ બરોબર આવતો નથી. આ માટે અમે જાતે જ બેકરીમાં બ્રેડ બનાવડાવીએ છીએ. આ ઉપરાંત અમે લાલ મરચાં, લીલા મરચાં અને ખજૂરની ચટણી જાતે જ ઘરે બનાવી છીએ. રોજે રોજ ગ્રાહકોને શુદ્ધ અને સ્વાદીસ્ટ નાસ્તો મળે તેને અમે અગ્રતા આપીએ છીએ.
કેતનભાઈ એમના પિતા સાથે 11 વર્ષની ઉંમરમાં જ આ વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. એમણે કહ્યું હતું કે, શરૂઆતમાં દોઢ રૂપિયામાં ભરેલી બ્રેડ અને રૂ.4.50માં બ્રેડ કટકા મળતા હતા. આજે ભરેલી બ્રેડ રૂ.35 અને બ્રેડ કટકા રૂ.55માં મળે છે. વર્ષોથી ગ્રાહકોને એક સરખો સ્વાદ મળતો હોય સામાકાંઠા વિસ્તારમાં સદગુરુ બ્રેડનું નામ ખૂબ જ જાણીતું બન્યું છે.
મહેનત કરીએ તો એક દિવસ સફળતા જરૂર મળે છે: કેતનભાઈ
કેતનભાઈએ પોતાના સંઘર્ષની વાત કરતાં અને 30 વર્ષ પહેલાનો સમય યાદ કરતાં કહ્યું હુત કે, એક સમય એવો હતો કે જ્યારે ચોમાસામાં પાણી ભરેલા હોય તેમ છતાં ગ્રાહકો આવતા હતા. જ્યારે આજે પણ અમે ટેસ્ટ જાળવી રાખ્યો છે અને 30 વર્ષ બાદ એક સારી દુકાન છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે. જેનો સંતોષ છે. મારૂ માનવુ છે કે, કોઈપણ કામમાં તમે મહેનત કરો તો સફળતા એક દિવસ જરૂર મળે છે. અમે પણ સંઘર્ષ કર્યો અને આજે 30 વર્ષ બાદ અમને સફળતા મળી છે.
ધારાસભ્ય, કોર્પોરેટર, બિલ્ડર અને કલાકારો પણ સદગુરુ બ્રેડના ચાહક
પેડક રોડ સદગુરુ બ્રેડ આજે ખૂબ જાણીતું નામ બન્યું છે. સાંજ પડે અને નાસ્તો કરવાનું મન થાય એટલે લોકો સીધા જ સદગુરુ બ્રેડની દુકાને પહોંચી જાય છે. સદગુરુ બ્રેડ આ વિસ્તારમાં એટલી પ્રખ્યાત છે કે અહી ધારાસભ્ય, કોર્પોરેટર બિલ્ડર ઉપરાંત પ્લેબેક સિંગર દેવ ભટ્ટ સહિત રાજકોટની જાણીતી હસ્તીઓ પણ અહી નાસ્તો કરવા આવે છે.
લોકો 10 થી 30 નંગ બ્રેડ કટકા, ભરેલી બ્રેડ પાર્સલ કરાવે છે
સામાકાંઠા વિસ્તારમાં ઇમિટેશનની દુકાનો ઉપરાંત અન્ય દુકાનો પણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. મોટા ભાગના લોકો અહી સાંજ પડેને નાસ્તો કરવા માટે આવે છે. જે લોકો નાસ્તો કરે છે તે પોતાના પરિવાર અને કર્મચારીઓ માટે પાર્સલ પણ કરાવી જાય છે. સૌથી વધારે પાર્સલનું વેંચાણ થાય છે. લોકો દરેક આઇટમના 10 થી લઈને 30 નંગ પાર્સલ કરાવતા હોય છે.