ખાડા ઉપર ‘થીગડાં’ શરુ…રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ પૂરજોશમાં શરુ
રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ પૂરજોશમાં શરુ
આશરે ૩૫ જેટલા રસ્તા ઉપર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું
ઓગસ્ટનાં છેલ્લા અઠવાડિયામાં પડેલા ભારે વરસાદે સમગ્ર ગુજરાતમાં રસ્તાની હાલત બગડી ગઈ છે અને પ્રજામાં ભારે હોબાળો મચી ગયો છે ત્યારે લોકોનો આ રોષ ઠંડો પાડવા માટે વરસાદ રોકાતા જ સરકારી તંત્ર દ્વારા ખાડા ઉપર થીગડા મારવાની કામગીરી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે.

રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ટીમે તાબડતોબ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપરોક્ત ૧૧ રોડમાંથી ૮ માર્ગો પુનઃ શરૂ થઈ ગયા છે. જ્યારે ત્રણ માર્ગો પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતિ હળવી થયાના ગણતરીના કલાકોમાં જ રોડ શરૂ કરી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભારે વરસાદની સ્થિતિમાં રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ અને વિભાગના આશરે ૩૫ જેટલા રોડ પર ખાડા પડી જવા, રોડની સાઈડો ધોવાઈ જવી કે તૂટી જવા સહિતનું નુકશાન થયું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમ દિવસ રાત ખડેપગે રહીને આ રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે. હાલ વિવિધ રોડમાં રિપેરિંગ કામ તેજગતિએ ચાલી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ મકાન વિભાગ, સ્ટેટ હસ્તકના ૧૧ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે તેમજ ઓવર ટોપીંગના કારણે ભારે નુક્સાન પામ્યા હતા. જેના પરિણામે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. જેમાં ઉપલેટા તાલુકાના પાંચ રોડ, જેતપુર તાલુકાના ત્રણ રોડ, રાજકોટ, કોટડા સાંગાણી તેમજ પડધરી તાલુકાના એક-એક મળીને ૧૧ રોડ બંધ થયા હતા.
રફાળા – જામગઢ પાસે લો-લેવલ પુલનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરાવ્યું
રાજકોટ તાલુકાના કુવાડવાથી રફાળા તરફ જતા જામગઢ પાસે હાલ મેજર બ્રીજનું કામ ચાલુ છે, ત્યારે વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે પાસેથી ડાયવર્ઝન આપી કામચલાઉ ધોરણે લો-લેવલ બ્રીજ ચાલુ કરવામાં આવ્યો હતો. પરંતુ અતિ ભારે વરસાદના કારણે આ કાચો લો-લેવલ બ્રીજ ધોવાઈ જતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો.
હાલ વરસાદ અટકી જતાં આ લો-લેવલ બ્રીજ પર વાહન વ્યવહાર પુનઃ ચાલુ થઈ જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હોવાનું ડે. એન્જીનીયર નીરવ પટેલે જણાવ્યું છે.મોટાભાગે સોમવારે સાંજ સુધીમાં રફાળા – જામગઢ, ચાંચડીયા – બેડલાં ગામ તરફ તરફ જવા વાહન વ્યવહાર પુનઃ પૂર્વવત થઈ શકશે.