આ વર્ષે રામકથા : વડીલ અને વૃક્ષ માટે દર વર્ષે ‘સદભાવના’
પૂ.મોરારીબાપુની કથા પૂર્વે જ પર્યાવરણ યજ્ઞમાં 500 જેટલા દાતાઓએ આપી આહુતિ: હજારો લોકોના યોગદાનથી 151 કરોડ વૃક્ષ વાવેતર સાથે ગ્રીનભારતમાં રાજકોટ બનશે નિમિત્ત:રામકથા માટે 3000થી વધુ લોકો સેવારત
વડીલ અને વૃક્ષ બંને છાંયો આપે છે,વૃક્ષો અને વડીલોના લાભાર્થે રાજકોટમાં 12 વર્ષ બાદ પૂજ્ય મોરારીબાપુની રામકથા શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે સદભાવના વૃદ્ધાશ્રમના આ સેવાયજ્ઞમાં રાજકોટીયન્સ આહુતિ આપી રહ્યા છે. બે લાખ ચોરસ ફૂટ જગ્યામાં રેસકોર્સનાં વિશાળ ગ્રાઉન્ડમાં આગામી તારીખ 23 મીથી રામકથા શરૂ થાય તે પહેલા જ પર્યાવરણ જાળવણીના આ યજ્ઞમાં 500 થી વધુ પર્યાવરણપ્રેમીઓ વૃક્ષોનું જતન અને ઉછેર કરવા માટે આગળ આવ્યા છે. કથા પૂર્વે જ પ્રથમ તબક્કામાં 500 જેટલા લોકોએ વૃક્ષ વાવવાના દાતા બન્યા છે જેમાં 10 થી લઈ 500 જેટલા વૃક્ષ માટે ‘વૃક્ષદાતા’બન્યાં છે.
વૃદ્ધો અને વૃક્ષોના શુભ અર્થે સદભાવના વૃદ્ધાશ્રમ નિમિત બન્યું છે, 650 થી વધુ નિરાધાર અને ની:સહાય વડીલો માટે આધાર બનેલા સદભાવના દ્વારા જામનગર રોડ પર 300 કરોડના ખર્ચે 5000 જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તે માટે રામપર ખાતે 30 એકર જગ્યામાં નવું અધ્યતન વૃદ્ધાશ્રમ આકાર પામશે. વૃદ્ધો ઉપરાંત શ્વાસ લેવામાં જેની મહત્વપૂર્ણ ભૂમિકા છે તે પર્યાવરણની જાળવણી માટે સદભાવના ટ્રસ્ટ મિશન ઉપાડ્યું છે. જેમાં પ્રથમ ચરણમાં મોરારીબાપુની વૈશ્વિક રામકથા મળી હોવાનું સદભાગ્ય છે તેમ જણાવતા સદભાવના વૃદ્ધાશ્રમનાં ટ્રસ્ટીઓએ કહ્યું કે, ના ભૂતો ના ભવિષ્ય પ્રકારનું દિવ્ય આયોજન થયું છે જેમાં દેશ-વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ,દાતાઓ નો ખૂબ જ સહયોગ રહ્યો છે.
વડીલોની સાથે વૃક્ષોને પણ દતક લેવા માટે લોકોએ સામેથી પહેલ કરી છે હજુ તો કથા શરૂ નથી થઈ ત્યારે જ 500 થી વધુ લોકોએ પોતાના નામ લખાવી ટ્રસ્ટના એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરાવી દીધા છે જેમાં પાંચ વૃક્ષથી લઇ 500 વૃક્ષ માટેના દાતા બન્યા છે. સમગ્ર દેશમાં 151 કરોડ વૃક્ષ વાવવાનો અને તેનો ઉછેર કરવાનો સદભાવના વૃદ્ધાશ્રમનો ધ્યેય રહેલો છે. જ્યારે આવનારી પેઢી ગૂગલ મેપ પરથી સર્ચ કરે તો ગ્રીન ભારત જ દેખાવું જોઈએ તેવા સ્વપ્ન સાથે આ રાહ પર બધાના સથવારે અમે આગળ વધી રહ્યા છે.
રામકથા બાદ અમે એવું નક્કી કર્યું છે કે દર વર્ષે રાજકોટ તેમજ અન્ય શહેરોમાં પણ પર્યાવરણની જાળવણી અને વડીલોની માવજત માટે આ પ્રકારનું આયોજન કરીશું, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું તેના પિંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂક્યું છે મિયાવાકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, અમારી ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા દાતાઓથી માંડીને શુભેચ્છકો સુધીની રહેલી છે, તેમ છતાં સૌથી વધારે યોગદાન રહ્યું હોય તો વૃક્ષોના વાવેતરમાં 1600 જેટલા લોકોએ તેમની મહેનતથી માવજત કરી લીલાછમ વૃક્ષો સાથે ઘટાદાર બનાવ્યા છે. 400 જેટલા ટેન્કર અને 400 ટ્રેક્ટર આ ઝુંબેશમાં તાલ મિલાવી રહ્યા છે.
રૂ.3000 સાથે આપ પણ ‘વૃક્ષદાતા’બની શકો છો..
વૃક્ષો અને વડીલોના લાભ માટે વૈશ્વિક રામકથા શરૂ થવા જઈ રહી છે જેમાં લોકો વડીલોને પણ દત્તક લઈ શકશે, વૃક્ષો માટે પણ દાતા બનવાનું ખાસ મોકો મળ્યો છે. આપણે આપણા ઘરે તો નર્સરી કે અલગ અલગ પ્લાન્ટ વાવીએ છીએ. પર્યાવરણ આપણી સંપત્તિ છે, પર્યાવરણ હશે તો જ આપણી સૃષ્ટિ બચી શકશે, જ્યારે આપણા ઘર આંગણે સદભાવના આશ્રમ દ્વારા ભારતને હરિયાળુ બનાવવા માટે દેશવ્યાપી શરૂ થઈ છે તો માત્ર 3000 રૂપિયાના અનુદાન સાથે કોઈપણ વ્યક્તિ વૃક્ષદાતા બની શકે છે. જેમાં વૃક્ષોને દરરોજ પાણી અને 15 દિવસે ખાતર સાથે નાના એવા રોપાથી ઘટાટોપ વૃક્ષ બનાવવાની જવાબદારી સદભાવના આશ્રમ સંભાળશે. જે વૃક્ષો વવાશે તેનો આયુષ્ય પણ સો વર્ષ કરતાં પણ વધુનું રહેશે જેમાં લીમડો, પીપળો,વડ જેવા વૃક્ષોનું વાવેતર થશે.
ફતેપરથી 1000 વૃક્ષારોપણનું બીજ હવે વટવૃક્ષ બની ગયું,10 વર્ષમાં 30 લાખનું વાવેતર

આઝાદીના 75 વર્ષ બાદ પણ વૃક્ષોનું વાવેતર થાય છે પણ એને એ જ જગ્યાએ દર વર્ષે વૃક્ષોનું વાવેતર થતું હતું, વર્ષો જૂની શાળાઓમાં પણ એને એ જ ખાડામાં ઝાડ અવાય છે પણ તે ઉગતા ન હતા. આથી પોતાના ગામને હરિયાળું બનાવવાનો સંકલ્પ આજે આખા ગુજરાત અને દેશ સુધી વિસ્તરી ગયો છે.ગ્રીનમેન તરીકે ઓળખાતા વિજયભાઈ ડોબરીયાએ પર્યાવરણ માટેનું વાવેલું બીજ આજે વટવૃક્ષ બની રહ્યું છે
એક દશકા પહેલાં પડધરી પાસે આવેલા ફતેપર ગામમાં 1000 વૃક્ષારોપણથી શરૂ કરેલા આ કાર્યોમાં અત્યારે 30 લાખ વૃક્ષોનો વાવેતર થઈ ચૂક્યું છે,ધીમે ધીમે દેશભરમાં 150 કરોડ વૃક્ષ વાવેતર માટેની મુહિમ આગળ વધી રહી છે જેમાં મોરારીબાપુની રામકથા પ્રાણ પુરી રહી છે.
