રાજકોટના લોકમેળાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર : 80 સ્ટોલ, 15 રાઇડ્સ ઘટશે
લોકમેળામાં ભાગદોડ કે ધાંધલી ન સર્જાય તે માટે કવીક રિસ્પોન્સ ટીમ તૈનાત કરાશે : સ્ટોલ ભાડામાં વધારાના એંધાણ
રાજકોટ : આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન શહેરના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી હોવાનું તેમજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને પગલે આ વખતે સ્ટોલમાં 35 ટકાનો કાપ મુકવામાં આવતા અલગ -અલગ કેટેગરીના 80 સ્ટોલ અને 15 રાઇડ્સના પ્લોટ ઘટાડવામાં આવ્યા છે, સાથે જ આ વર્ષે પ્રથમ વખત જ લોકમેળામાં ભાગદોડ કે ધાંધલી ન સર્જાય તે માટે કવીક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના ભાતીગળ લોકમેળાની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને પગલે આ વર્ષે જિલ્લા વહીવટીતંત્ર આયોજનમાં કોઈ કચાશ કે બાંધછોડ કરવા ન માંગતું હોય લોકમેળામાં અંધાધૂંધી ન સર્જાય તે માટે આગોતરા આયોજન કરી સ્ટોલ અને રાઇડ્સ ઘટાડવા નક્કી કર્યું હતું જે મુજબ લોકમેળાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે અને રમકડાં તેમજ ખાણીપીણી સહિતના 80 સ્ટોલ ઘટાડી નાખવામાં આવ્યા છે સાથે જ યાંત્રિક કેટેગરીમાં પણ 15 પ્લોટનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લોકમેળામાં 355 પ્લોટ હતા જેમાં નાની ચકરડીના 52 તેમજ ઇ, એફ, જી1, જી2 અને એચ કેટેગરીના યાંત્રિકના 44 પ્લોટ હતા ઉપરાંત રમકડાંના 178, ખાણી પીણી નાની 14, માધ્યમ ચકરડીના 4, નાની ચકરડીના 28, નાની ચકરડી (બીજી)ના 20, ખાણી પીણીના 34, રાઈડ્સના 44, આઈસ્ક્રીમના 16, ફૂડ કોર્ટના 3, ટી કોર્નર 1, સંસ્થાના 13 મળી 355 હતા જેમાં 35 ટકા જેટલો ઘટાડો કરવામાં આવતા આ વર્ષે લોકમેળામાં 125 જેટલા પ્લોટમાં ઘટાડો કરી મેળાની અંદર અને બહાર ડ્રોનથી નજર રખાશે અને ટ્રાફિક વધુ લાગશે તો એન્ટ્રી બંધ કરી દેવાશે. લોકમેળામાં કુલ 5 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં દરવર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોવાથી હાથરસ જેવી ભાગદોડ ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમ વખત જ કવીક રિસ્પોન્સ ટીમને પણ મેળામાં તૈનાત કરવામાં આવશે સાથે જ લોકમેળામાં વોચ ટાવરની સંખ્યા પણ વધારવામાં આવશે, બીજી તરફ લોકમેળામાં સ્ટોલની સંખ્યામાં ઘટાડો થયો હોવાથી ભાડામાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે હરરાજીમાં પણ ધંધાર્થીઓ વચ્ચે સ્ટોલ પ્લોટ મેળવવા રસાકસી થાય તેમ હોવાના સંકેતો મળી રહ્યા છે.