જી૨૦માં રાજકોટ-ગુજરાત છવાયુ
દિલ્હીના ભારત મંડપમમાં ગાલા ડીનર બાદ યોજાયેલા કલ્ચરલ પ્રોગ્રામમાં મન મોર બની થનગાટ કરે અને મારો હેલો સાંભળો ઓ..ઓ..જી..ની પ્રસ્તુતિ ઉપર મહેમાનો આફરીન
નવી દિલ્હીમાં મળેલી જી૨૦ સમિટ પૂરી થઇ છે અને વિદેશથી આવેલા અનેક રાષ્ટ્રાધ્યક્ષ અને વડાપ્રધાનો તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં હોદેદારો આપણી મહેમાનગતિ માણીને રવાના થઇ ગયા છે પણ સાથે ક્યારેય ન ભૂલાય એવા સંસ્મરણો લઇ ગયા છે. આ સમિટમાં મહેમાનો માટે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોજેલા ગાલા ડીનર બાદ યોજાયેલા કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાત અને ખાસ કરીને રાજકોટ છવાયું હતું અને આપણું ગીત-સંગીત માણીને મહેમાનો આફ્રીન પોકારી ઉઠયા હતા.
આ કલ્ચરલ પ્રોગ્રામમાં જુદા જુદા રાજ્યોની કલા અને સંસ્કૃતિ કલાકારો દ્વારા રજુ કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ માટે ગુજરાતના ત્રણ લોક કલાકારો ઓસમાણ મીર, બ્રિજરાજ ગઢવી અને ઉર્વશી રાદડિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ ત્રણેય કલાકારોએ હેમુ ગઢવીએ રચેલું મન મોર બની થનગાટ કરે… તથા રામદેવપીરનો હેલો સાંભળો રજૂ કરી શ્રોતાઓના મન જીતી લીધા હતા. ઓસમાણ મીર રાજકોટનાં છે અને હેમુ ગઢવીએ આ રચના પણ રાજકોટમાં આકાશવાણીની નોકરી દરમિયાન રચી હતી તેથી આ રચના સાથે રાજકોટ વણાયેલું છે.
આ ત્રણેય કલાકારોએ આ કાર્યક્રમમાં પરફોર્મ કરવાની તક મળી એ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. ઓસમાણ મીરે કહ્યું હતું કે, આવડા મોટા મંચ ઉપર ગુજરાતી કલાકારોને તક આપવામાં આવી તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. વધુમાં નરેન્દ્રભાઈ મોદી અને ઋષિ સુનક સહિતના વૈશ્વિક નેતાઓની હાજરીમાં ગુજરાતી કલ્ચર રજૂ કરવું કોઈ પણ કલાકાર માટે ગૌરવ ગણાય. આ કાર્યક્રમમાં આત્મ નિર્ભર ભારતની થીમ ઉપર પણ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો