ધોરાજીના ઉમરકોટમાં ૨૦૦ વિઘા જમીન ઉપરથી દબાણ દૂર
આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવીને જંગલખાતાને સોંપાઈ
રાજકોટ : ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે ભાદર ડેમની ડૂબમાં ગયેલી 200 વીઘા જમીન જંગલખાતાને ફાળવવામાં આવી હોવા છતાં ઉપર દબાણકારોએ ખેતી વિષયક સહિતના દબાણો કરી લેતા ધોરાજી પ્રાંત અધિકારી દ્વારા મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજે 23.50 કરોડની કિંમતી સરકારી જમીન દબાણ મુક્ત કરાવી જંગલખાતાને જમીનનો કબ્જો સોંપી આપ્યો હતો. કરોડોની કિંમતી જમીનમાં કુલ 19 દબાણ કર્તાઓએ દબાણ કર્યું હતું જે પૈકીના ત્રણ શખ્સો ગુન્હાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશ અને ધોરાજી પ્રાંત અધિકારી નાગાજણ તરખાલા દ્વારા ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ આશરે ૨૦૦ વિઘા જમીન પરથી ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૦ની સાલમાં ભાદરના જળાશયમાં જંગલ ખાતાની ડૂબમાં ગયેલી જગ્યા અન્વયે આશરે ૩૩ હેકટરથી વધુ જમીન ઉમરકોટ ગામના સર્વે નંબર ૧૦ પૈકી ૧ અને ૭૫ પૈકી ૨ની જમીન જંગલ ખાતાને ફાળવવામાં આવી હતી. જો કે આ પૈકીની આશરે ૩૧ હેક્ટરથી વધુ જગ્યાઓમાં છેલ્લા ૧૫ વર્ષથી દબાણદારોએ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા હતા.
વધુમાં ઉમરકોટ ગામની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા નોટીસો આપવામાં આવી હતી. છતાં દબાણ દૂર ના કરાતા, શનિવારે ડિમોલીશન હાથ ધરીને ૧૯ દબાણદારોએ કરેલા આશરે ૨૦૦ વિઘા જેટલી જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ કામગીરીમાં આઠ જેસીબી, ૧૫ ટ્રેકટર અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ડિમોલિશન બાદ જંગલ ખાતાને જમીન સોંપી દેવામાં આવી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ ૧૯ દબાણદારો પૈકી ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.