અગ્નિકાંડમાં ગુમ સ્વજનોના પરિવારજનોમાં આક્રોશ-આક્રંદ
સિવિલ હોસ્પિટલમાં ડીએનએ રિપોર્ટ અંગે યોગ્ય જાણકારી ન મળતા
પીએમ રૂમ જવા ન દેવાતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલીના બનાવો બન્યા: ત્રણ-ત્રણ દિવસથી પરિવારજનો સિવિલમાં: ન તો સ્વજનોની કોઈ ભાળ મળી, ન મૃતદેહ
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડમાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પરિવારજનો તેમના ગુમ થયેલા સ્વજનોને શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જે લોકો ગુમ છે તેમના પરિવારના ડીએનએ સેમ્પલ લીધા બાદ પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં જ રાકાયેલા છે. તેવામાં સોમવારે આ પરિવારોની ધીરજ ખૂટી હતી અને ડીએનએ મેચ થયા છે કે નહિ? તેવી તંત્ર દ્વારા જાણકરી આપવામાં ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ થયાના બનાવો પણ બન્યા હતા.
ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુમ થયેલા સ્વજનોને તેમના પરિવાર ત્રણ-ત્રણ દિવસથી શોધી રહ્યા છે. કેટલાક પરિવારો એવા છે કે જેઓ માનવા તૈયાર નથી કે, તેમના સ્વજનો મૃત્યુ પામ્યા છે. ગુમ થયેલા લોકોના પરિવારના ડીએનએ લેવામાં આવ્યા છે. જેથી કેટલાક પરિવારો એવા છે કે જેઓ ડીએનએ ટેસ્ટ બાદ પણ સ્વજનોના મૃતદેહ ન મળતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં એક સમયે પીએમ રૂમમાં જવા માટે કેટલાક લોકોએ માંગ કરતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
ત્રણ ત્રણ દિવસથી ઘરના ચૂલા નથી સળગ્યાં: ગોવિંદભાઇ વાઘેલા
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં ગેમઝોનમાં નોકરી કરતાં કર્મચારીઓ અને ગેમઝોનમાં ગયેલા અન્ય લોકો ગુમ છે. જેમાં ગોવિંદભાઇ વાઘેલા સાળાની દીકરી ખુશાલી, ટીશા અને જમાઈ વિવેક પણ હજુ ગુમ છે. જેમની કોઈ ભાળ મળી નથી. ગોવિંદભાઇ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તંત્ર દબાણમાં છે. કોઈ સરખો જવાબ નથી આપતા. ડીએનએ લીધા છે. જે મેચ થયા છે કે નહિ? તેવું પૂછતાં રિપોર્ટ આવશે તો તમને જાણ કરશું તેવો જવાબ આપી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી બધા રાત-દિવસ સિવિલ હોસ્પિટલમાં છીએ. ઘરના ચૂલા સળગ્યાં નથી. તો બીજી તરફ તંત્ર યોગ્ય જવાબ આપતું નથી.
ડીએનએ રિપોર્ટ આવે તો કઈક ખબર પડે, અમે બીજે શોધ કરીએ: મેહુલ બગડા
સિવિલ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટનામાં ગુમ થનાર મેહુલભાઈના ભાઈ કલ્પેશભાઈ બગડાની પણ હજુ સુધી કોઈ ભાળ નથી. મેહુલભાઈએ કહ્યું હતું કે, ઘટના બની તે રાત્રે એટલે કે, તા.25મીની રાત્રે ડીએનએ સેમ્પલ લેવાયા હતા. પરંતુ હજુ સુધી ડીએનએ મેચ થયા છે કે નહિ? તે અંગે કોઈ જણાવતું નથી. રિપોર્ટ આવ્યો નથી એવું જ કહે છે. અમારી માંગ છે કે, તંત્ર અમને જલ્દી જાણ કરે કે ડીએનએ મેચ થયા છે કે નહિ? નહિ તો અમને મારા ભાઈની બીજે શોધખોળ કરવાની ખબર પડે.
સેવાભાવી સંસ્થા દ્વારા છાશ-પાણી વિતરણ કરાયું
ટીઆરપી ગેમઝોનમાં બનેલી આગની ઘટનામાં 28 લોકોના મૃત્યુ થયા છે. જે લોકો ગુમ છે તેમના પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવાયા છે. જો કે, ત્રણ દિવસથી અનેક પરિવારને એમના સ્વજનોના મૃતદેહ મળ્યા નથી. તેઓ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લેવા રાહ જોઈને બેઠા છે. તેમના માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી હતી અને ઠંડી છાશ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના સભ્યો દ્વારા લોકોને છાશ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી રહી છે.