સસ્તા અનાજના વેપારીઓને કચડવા માટે અધિકારીઓ મેદાને
હડતાળને કચડવા પ્રયાસ કરશો તો જોયા જેવી : પ્રહલાદ મોદીનો ખોખારો
કેટલાક તાલુકાઓમાં ધરાર ચલણ જનરેટ કરવા પુરવઠા વિભાગનું દબાણ
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના વેપારીઓએ મિનિમમ 20 હજાર કમિશન માટે 97 ટકા વિતરણના નિયમનો વિરોધ કરી 1લઈ ઓક્ટોબરે શરૂ કરેલી હડતાલ સતત સાતમા દિવસે યથાવત રહી છે ત્યારે કેટલાક તાલુકામાં સસ્તા અનાજના વેપારીઓને શામ, દામ, દંડ અને ભેદની નીતિ મુજબ કચડી નાખવા પ્રયાસ શરૂ થતા ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ ખોખારો ખાઈ હડતાળને કચડવા પ્રયાસ કરનાર અધિકારીઓને ધરાર ચલણ જનરેટ નહીં કરવા ચેતવણી આપી આ મામલે હાઇકોર્ટમાં જવા ચીમકી આપી મુખ્યમંત્રીને પણ તાકીદે હડતાલનો અંત લાવવાની દિશામાં પગલાં ભરવા ભાર પૂર્વક જણાવ્યું હતું.
સસ્તા અનાજના વિક્રેતાઓને મોંઘવારીના આ સમયમાં દુકાનો ચલાવવી પોસાય તેમ નથી ત્યારે સરકારે મિનિમમ 20 હજાર કમિશન આપવાના નિયમને અમલી બનાવ્યો છે પરંતુ આ નિયમમાં 97 ટકા વિતરણ થાય તો જ 20 હજાર કમિશન આપવાની શરત હોય આ શરત દૂર કરવાની સાથે જ માલ ઘટમાં 1 ટકો ઘટ મજરે આપવાની માંગ સાથે 1લી ઓક્ટોબરથી અચોકક્સ મુદતની હડતાલ શરૂ કરતા હાલમાં રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજના વિક્રેતાઓએ પરમીટ અને ચલણ જનરેટ ન કરતા જાહેર વિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે. બીજી તરફ અધિકારીઓ દ્વારા વેપારીઓને દબાવી ચલણ જનરેટ કરવા મજબુર કરવામાં આવી રહ્યાનું સામે આવતા ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ હડતાળને કચડવાનો પ્રયાસ નહીં કરવા સાફ સાફ શબ્દોમાં ચેતવણી આપી હતી.
સસ્તા અનાજના વેપારી એસોશિએશન પ્રમુખ અને વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદીએ વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે, સરકારે આધાર સિડિંગમાં ખોટું કર્યું છે જેથી 97 ટકાના નિયમનો અમલ કરવો શક્ય નથી. આ સંજોગોમાં જો સરકાર તરફથી વેપારીઓને દબાવવામાં આવશે તો હવે વેપારીઓએ હાઇકોર્ટમાં જઈ સરકારને ખુલ્લી પાડશે તેમ કહી વેપારીઓની હડતાળને કચડવા માટે પરાણે પરમીટ કે ચલણ જનરેટ નહીં કરવા અધિકારીઓને સતાનો ખોટો ઉપયોગ નહીં કરવા ચેતવણી આપી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સમગ્ર મામલે વેપારીઓની માંગ સ્વીકારવા અનુરોધ કર્યો હતો.