વધુ એક મુદત: હવે રાજકોટને સમરમાં મળશે ઇન્ટરનેશનલ ફલાઇટ
નવા ટર્મિનલને લીલીઝંડી: અમુક સુધારા કરવા પડશે, દિલ્હીથી આવેલા ઓથોરિટી ના અધિકારીઓએ આપ્યાં સૂચનો:જામનગર કસ્ટમની ટીમએ ડિઝાઇનમાં ફેરફાર સૂચવ્યા
તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટીના દિલ્હીના અધિકારીઓએ રાજકોટ એરપોર્ટ પર બની રહેલા નવા ટર્મિનલ બિલ્ડીંગની મુલાકાત લઇ તેમાં જરૂરી સુધારા વધારા માટે સૂચનો આપ્યા હતા. રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ સમર શેડ્યુલમાં મળશે તેવા અધિકારીઓએ નિર્દેશ કર્યા છે.
મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ જે હાલમાં બની રહ્યું છે તેનું કામ મહદંશે પુણે થઈ ચૂક્યું છે. આગામી ટૂંકા ગાળામાં નવા ટર્મિનલ બિલ્ડીંગ ને કાર્યરત કરી દેવામાં આવશે તે દિશામાં હાલમાં અંતિમ તબક્કામાં કામગીરી ચાલી રહી છે.
₹1,400 કરોડના ખર્ચે બનેલું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રથમ તબક્કાનું કામ અત્યારે પૂરૂ થઈ ચૂક્યું છે આગામી ભવિષ્યમાં બીજો ફેઇઝ અને ત્રીજા ફેઇઝ નું કામ શરૂ થશે. 3040 મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન વે બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત એરક્રાફ્ટ માટેના 14 પાર્કિંગ બનાવાયા છે જેમાંથી હાલમાં 321 ટાઈપના એરક્રાફ્ટ માટે છ પાર્કિંગ તૈયાર કરાયા છે. જેમાં પાંચ નવા પાર્કિંગ તૈયાર થઈ જતા અલગ અલગ એરલાઈન્સ માટે નવા દરવાજા ખૂલશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યારની એરલાઇન્સ પાસે 321 ટાઈપના એરક્રાફ્ટ હોવાના લીધે આ પાર્કિંગની વધુ આવશ્યકતા હતી રાજકોટ હીરાસર એરપોર્ટ પર અત્યારે આ વિમાન માટે અહીંના એરપોર્ટ પર છ પાર્કિંગની સેવા ઉપલબ્ધ કરાય છે આ ઉપરાંત ચાર પાર્કિંગ 320 ટાઈપના વિમાન માટેના પાર્કિંગ અને અન્ય પાર્કિંગ ચાર્ટર્ડ ફ્લાઇટ માટેના મળી કુલ ૧૪ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે.
ઓથોરિટીના અંદાજ મુજબ વધીને દોઢ મહિનામાં નવું ટર્મિનલ બિલ્ડીંગ કાર્યરત જતા ફૂલ ફ્લેટમાં ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ જશે. બે દિવસ પહેલા મળેલી આ મિટિંગમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ જામનગરથી આવ્યા હતા અને જેમને કસ્ટમ ડેસ્ક માટે જરૂરી સૂચનો કર્યા છે. નવા ટર્મિનલ બાદ નવો ટેકનિકલ બ્લોક અને એટીસી ટાવર કાર્યરત કરાશે.
ઈન્ડિગો અને એરઇન્ડિયા બાદ આકાશાએ પ્રપોઝલ મૂકી
ઈન્ડિગો અને એર ઇન્ડિયા એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની ઈચ્છા દર્શાવ્યા બાદ હવે આકાશા એરલાઇનએ પણ રાજકોટ થી ફ્લાઈટ ઓપરેટ કરવા માટેની પ્રપોઝલ ઓથોરિટી ને મોકલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે સૌપ્રથમ ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ઇચ્છા દર્શાવી હતી.
321 વિમાન માટે પાર્કિંગ મળતા વિકાસની નવી ઉડાન
રાજકોટ એરપોર્ટ પર અત્યારે સુધી ઓછા પાર્કિંગ હોવાના લીધે અને સૌથી મુખ્ય સમસ્યા 321 ટાઈપના વિમાનોના પાર્કિંગ માટે આવી રહી હતી જેનો ઉકેલ આવતા ની સાથે જ હવે વિકાસની નવી ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટ પર છ જેટલા આ ટાઈપના વિમાન માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલમાં એરઇન્ડિયા અને ઈન્ડિગોના એક એક વિમાન 321 ટાઈપના ઉડાન ભરી રહ્યા છે.