મહાપાલિકાના CFOનો ‘કાંટાળો’ તાજ પહેરવા કોઈ જ તૈયાર નથી !
અગ્નિકાંડની આગ'માં દાઝી જવાય તે પહેલાં જ મનપાના ૧૬મા અધિકારીએ રવાનગીની કરી તૈયારી
બે અધિકારી જેલમાં, અમદાવાદ-જામનગરનાએ આવવા નનૈયો ભણ્યો, માંડ એકને ચાર્જ સોંપાયો’ને કામ આગળ વધ્યું ત્યાં જ કહી દીધું, મારાથી હવે આ કામગીરી નહીં થાય !
ઈન્ચાર્જ ચીફ ફાયર-કાયમી સ્ટેશન ઓફિસર અમિત દવેએ સપ્તાહ અગાઉ ચાર્જમાંથી મુક્તિ માંગ્યા બાદ હવે નોકરીમાંથી જ રાજીનામું આપી દીધું
પારિવારિક કારણોસર રાજીનામું આપ્યાનું રટણ: અંદર'નું કારણ કંઈક બીજું જ: રાજીનામાની જાણ થતાં જ દવેને
મનાવવા’ પ્રયાસો શરૂ
જ્યારથી રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ થયો છે ત્યારથી લઈ આજ સુધી મહાપાલિકાના વહીવટી તંત્રની ગાડી પાટે ચડવાનું નામ લઈ રહી નથી. ખાસ કરીને ફાયર બ્રિગેડ શાખા કે જ્યાં ચીફ ફાયર ઓફિસર (સીએફઓ)નો કાંટાળો તાજ પહેરવા માટે કોઈ જ અધિકારી તૈયાર થઈ રહ્યા ન હોય તેવી રીતે થોડા થોડા દિવસે આ ખુરશી ખાલી પડી રહી છે. માંડ માંડ કરીને આ ચાર્જ ફાયર સ્ટેશન ઓફિસર અમિત દવેને સોંપાયો હતો પરંતુ તેમણે પણ હવે રાજીનામું આપી દેતાં ફરી ખુરશી ખાલી પડવાની શક્યતા સેવાઈ રહી છે. આ સાથે જ અગ્નિકાંડ બાદ મહાપાલિકામાંથી ૧૬મા અધિકારીએ રાજીનામું આપી દેતાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અગ્નિકાંડ બાદ તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની ધરપકડ થતાં તે અત્યારે જેલમાં સજા કાપી રહ્યા છે. આ પછી સરકાર દ્વારા ખેરની જગ્યાએ કચ્છ-ભૂજના સીએફઓ અનિલ મારૂને મુકવામાં આવ્યા હતા પરંતુ તે લાંચ લેતાં પકડાઈ જતાં ફરી જગ્યા ખાલી પડી હતી. ત્યારબાદ સરકાર દ્વારા અમદાવાદ મહાપાલિકાના એડિશનલ ફાયર ઓફિસર મીથુન મિસ્ત્રીને આ જવાબદારી સોંપાઈ હતી પરંતુ તેમણે પણ નનૈયો ભણી દીધો હતો. આ પછી જામનગરના અધિકારી પણ રાજકોટ આવવા તૈયાર થયા ન્હોતા. આ પ્રકારે ફાયર એનઓસી સહિતની કામગીરી ડખ્ખે ચડી જતાં ફાયર સ્ટેશન ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જો કે થોડા સમય સુધી કામગીરી કર્યા બાદ તેમણે આ ચાર્જમાંથી એક સપ્તાહ પહેલાં મુક્તિ માંગી હતી જે અંગે કોઈ જ નિર્ણય લેવામાં ન આવતાં આખરે તેમણે ફાયર સ્ટેશન ઓફિસર પદેથી જ રાજીનામું આપી દીધું હતું. જો કે રાજીનામું આપવાની સાથે જ ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ અંગે અમિત દવેએ જણાવ્યું કે તેમણે ભલામણ સહિતના દબાણથી કંટાળીને નહીં બલ્કે પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલાં તેમના પિતાનું અવસાન થયું હતું. આ ઉપરાંત તેમના માતાની તબિયત પણ નાદૂરસ્ત રહે છે સાથે સાથે બાળકોના શિક્ષણકાર્યની પણ જવાબદારી રહેતી હોવાથી તેઓ હવે આ જવાબદારીઓ સંભાળી શકે તેમ નથી. જો કે રાજીનામા પાછળ `અંદર’નું કારણ કંઈક ઔર જ હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો. અમિત દવેના રાજીનામાની વાત વાયુવેગે પ્રસરી જતાં તેમને મનાવવા માટેના પ્રયાસો પણ શરૂ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.